ઉત્તરાખંડના પિથોરાગઢમાં વાદળ ફાટતાં મચ્યો કહેર, 3ના મોત, 9 ગાયબ


નવી દિલ્હી, તા. 20 જુલાઈ 2020, સોમવાર

ઉત્તરાખંડના પિથોરાગઢમાં વાદળ ફાટવાના કારણે અનેક ઘર ધરાશાયી થઈ ગયા છે. પહાડ પરથી કાટમાળ વગેરે નીચે ધસી આવતા અનેક ઘર દટાઈ ગયા હતા અને સાથે જ પાણીના વહેણ સાથે અનેક લોકો તણાઈ ગયા હોવાના સમાચાર છે. જાણવા મળ્યા મુજબ આ હોનારતે ત્રણ લોકોનો ભોગ લીધો છે અને 9 લોકો લાપતા થયા છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે આગામી બે દિવસ સુધી ભારે વરસાદના કારણે લોકોની પરેશાની વધી શકે તેમ છે. 

રવિવારે રાતના સમયે થયેલા ભારે વરસાદ બાદ મુનસ્યારીના ટાગા ગામ અને બંગાપાનીના ગેલા ગામમાં વાદળ ફાટવાના કારણે તબાહી વ્યાપી હતી. જોતજોતામાં અનેક ઘરો જમીનદોસ્ત થઈ ગયા હતા અને ગેલા ગામમાં ઘરના કાટમાળ નીચે દબાતા ત્રણ લોકોના મોત થયા હતા જ્યારે અન્ય ત્રણને ઈજાઓ પહોંચી હતી. 

તે સિવાય ટાગા ગામમાં 9 લોકો લાપતા છે અને એક વ્યક્તિને ઈજાઓ પહોંચી છે. વાદળ ફાટ્યા બાદ રસ્તો ધોવાઈ જવાના કારણે આ ગામના લોકોનો બહાર સાથેનો સંપર્ક કપાઈ ગયો છે અને તેઓ ફસાઈ ગયા છે. તેઓ બહારના કોઈ વિસ્તાર સાથે જોડાઈ શકે તેવો કોઈ જ રસ્તો હાલ નથી બચ્યો. આ ઘટના બાદ રાહત અને બચાવ કાર્ય માટેની ટીમને ઘટના સ્થળે મોકલી દેવામાં આવી છે. 

ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે નદીઓ વેગીલી બની છે અને સૌથી વધુ નુકસાન મુનસ્યારી ખાતે થયું છે જ્યાં એક પુલ પાણીમાં સમાઈ ગયો હતો. મુનસ્યારીમાં ચીનની સરહદ સુધી લઈ જતા મેલમ માર્ગને પણ ઘણું નુકસાન પહોંચ્યું છે. થોડા સમય પહેલા જ આ રસ્તાનું સમારકામ કરવામાં આવ્યું હતું અને હાલ તેના પર અનેક સ્થળે તિરાડો પડી ગઈ છે. મેલમ રોડ તૂટી જવાના કારણે ગામલોકોની સાથે સાથે સેનાને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. 

આ તરફ ઉત્તરાખંડ સિવાય હિમાચલમાં પણ ભારે વરસાદને લઈ એલર્ટ જાહેર કરવામાં આવેલું છે. 



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32ASjYY
via IFTTT

ટિપ્પણીઓ નથી: