દિલ્હીમાં હાલ એક સાથે 3 ટેસ્ટ થઈ રહ્યા છે, કમ્યુનિટી ટ્રાન્સમિશન ઓળખવા થઈ રહેલો સિરોલોજીકલ ટેસ્ટ કઈ રીતે ઉપયોગી?
કોરોના મહામારીનું સમગ્ર ભારતમાં સૌથી જોખમી સ્વરૂપ દર્શાવી રહેલ દિલ્હીમાં સંક્રમણનો આંકડો 85 હજારને પાર કરી ગયો છે. હવે દિલ્હીમાં કોવિડ ટેસ્ટની સમાંતરે ટેસ્ટની નવી પ્રક્રિયા દાખલ કરાઈ હોવાથી કમ્યુનિટિ સંક્રમણની આશંકા પણ ઊભી થઈ છે. જોકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કમ્યુનિટિ ટ્રાન્સમિશનને નકારી દીધું છે અને ત્રીજા પ્રકારનો ટેસ્ટ વધુ ઝડપી, અસરકારક હોવાની શક્યતા ચકાસવા માટે તેનો ઉપયોગ થઈ રહ્યો હોવાનો દાવો કર્યો છે. AIMSના ડાયરેક્ટર ડો. રણજીત ગુલેરિયાના સુચન મુજબ, સિરોલોજિકલ ટેસ્ટ તરીકે ઓળખાતો આ ટેસ્ટ જો ધારણા મુજબના પરિણામો આપશે તો દેશના બીજા અને ત્રીજા નંબરના સંક્રમિત શહેરો અનુક્રમે મુંબઈ અને અમદાવાદમાં પણ તેનો પ્રયોગ થઈ શકે છે.
શું છે સિરોલોજિકલ ટેસ્ટ?
- કોરોના સંક્રમણ ઓળખવા માટે ગળા અને નાકની લાળનું પરીક્ષણ કરવાની પદ્ધતિ પ્રચલિત છે. પરંતુ તેમાં પરિણામ આવવામાં 8 કલાક જેટલો સમય લાગે છે.
- તબીબી વિજ્ઞાનની પરિભાષામાં શરીરમાં લાગુ પડેલ રોગ કે વાયરસ, બેક્ટેરિયાને એન્ટીજન કહેવાય છે અને તેની સામે શરીરના બચાવ માટે ઉત્પન્ન થયેલ પ્રતિકારક તત્વોને એન્ટીબોડી કહેવાય છે.
- દિલ્હીમાં કેસ વધવાની ઝડપ પર કાબૂ મેળવવા ગત 19 જૂનથી એન્ટીજન ટેસ્ટ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં બ્લડ સેમ્પલ વડે શરીરમાં એન્ટીજનની ચકાસણી કરવામાં આવે છે. આ ટેસ્ટનું પરિણામ મહત્તમ એક કલાકમાં જાણવા મળે છે.
- આમ છતાં 28 જૂનથી AIMSની સલાહથી દિલ્હીમાં સિરોલોજિકલ ટેસ્ટ નામે ત્રીજો ટેસ્ટ પણ શરૂ કરાયો છે અને ત્રણ દિવસમાં 4000થી વધુ સેમ્પલ મેળવાયા છે.
- આ પણ એક પ્રકાર બ્લડ ટેસ્ટ જ છે. જેમાં લોહીમાં રહેલાં રક્તકણો દૂર કર્યા પછી સિરમ તરીકે ઓળખાતું જે પીળુ પ્રવાહી વધે તેમાં રોગપ્રતિકાર માટે એન્ટીબોડી બન્યા હોય તેના પ્રોટિન ફોર્મેશનની ચકાસણી કરવામાં આવે છે અને તેનાં આધારે નિદાન થાય છે.
- એન્ટીજન ટેસ્ટ પોઝિટિવ હોવાનો અર્થ એ છે કે વ્યક્તિ સંક્રમિત છે. જ્યારે એન્ટીબોડી ટેસ્ટ પોઝિટિવ હોવાનો અર્થ એવો થાય છે કે આ વ્યક્તિ સંક્રમિત હતો પરંતુ તેના શરીરમાં એન્ટીબોડીની હાજરી સૂચવે છે કે શરીરે જાતે જ પ્રતિકારક તત્વો ઉત્પન્ન કરીને સંક્રમણને ડામી દીધું છે.
- દિલ્હી, મુંબઈ, અમદાવાદ જેવા શહેરોમાં કોરોના સંક્રમણની ઝડપ તીવ્ર હોય ત્યારે લક્ષણરહિત એટલે કે એસિમ્પ્ટોમેટિક વ્યક્તિઓ દ્વારા ઓછી પ્રતિકારશક્તિ ધરાવતી વ્યક્તિઓમાં સંક્રમણનો પ્રસાર થતો હોવાની શક્યતા બળવત્તર હોય છે.
- સિરોલોજીકલ ટેસ્ટ એસિમ્પ્ટોમેટિક વ્યક્તિઓને ઓળખવામાં મદદરૂપ નીવડે છે.
- આગામી 10 દિવસ પછી દિલ્હીમાં સિરોલોજીકલ ટેસ્ટના તારણોના આધારે કમ્યુનિટી ટ્રાન્સમિશન અંગે નિર્ણય થઈ શકશે. જો ત્રણ ટેસ્ટની આ રણનીતિ કારગત નીવડતી જણાશે તો સંક્રમિતોની મહત્તમ સંખ્યા ધરાવતા મુંબઈ, અમદાવાદ જેવા શહેરોમાં પણ તેનો અમલ થઈ શકે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3gc5kMf
via IFTTT
ટિપ્પણીઓ નથી: