લદ્દાખના કારગિલ ક્ષેત્રમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ ઉપર નોંધાઈ 4.7ની તીવ્રતા

કારગિલ, તા. 5 જુલાઈ 2020, રવિવાર
લદ્દાખના કારગિલ ક્ષેત્રમાં રવિવારે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા જેની રિક્ટર સ્કેલ ઉપર 4.7 જેટલી તીવ્રતા નોંધાઈ હતી. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના અહેવાલ પ્રમાણે વહેલી સવારે 3:37 કલાકે ભૂકંપના આ આંચકા અનુભવાયા હતા. જો કે સદનસીબે ભૂકંપના કારણે કોઈ પણ પ્રકારના જાન-માલના નુકસાનને લગતા કોઈ સમાચાર નથી નોંધાયા.
છેલ્લા કેટલાક સમયથી દેશના વિવિધ વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. રાજસ્થાનના અલવર જિલ્લામાં શુક્રવારે એટલે કે ગત 3 જુલાઈના રોજ સાંજના સમયે ધરતીકંપ આવ્યો હતો. જેની રિક્ટર સ્કેલ ઉપર 4.7ની તીવ્રતા માપવામાં આવી હતી. ભૂકંપના આંચકા દિલ્હી-એનસીઆર અને તેના સાથે જોડાયેલા અન્ય સ્થળોએ પણ અનુભવાયા હતા અને તેનું કેન્દ્ર જમીનની સપાટીથી 35 કિમી ઉંડે હતું.
હરિયાણા, દિલ્હી આસપાસ અનેક વખત કંપન
હરિયાણાના ગુરૂગ્રામ જિલ્લામાં શુક્રવારે સાંજે ધરતીકંપના ઝાટકા આવ્યા હતા જેની રિક્ટર સ્કેલ પરની તીવ્રતા 4.7 માપવામાં આવી હતી. ગુરૂગ્રામ સાથે જ તેના સાથે સંકળાયેલા રાષ્ટ્રીય રાજધાની અને એનસીઆર ક્ષેત્રોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
સાંજે 7:00 કલાકે આવેલા આ ભૂકંપનું કેન્દ્ર ગુરૂગ્રામની દક્ષિણ પશ્ચિમમાં 60 કિમી દક્ષિણમાં હતું. ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક મહીનામાં દિલ્હી-એનસીઆરમાં અનેક વખત ભૂકંપના આંચકા અનુભવાયેલા છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ZyFc7A
via IFTTT
ટિપ્પણીઓ નથી: