રાજકોટમાં ધીમીધારે અને ઉનામાં ધોધમાર વરસાદ, આગામી 48 કલાક ભારે વરસાદની શક્યતા
સૌરાષ્ટ્રમાં સતત ત્રીજા દિવસે વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે. હાલાર પંથકમાં સોમવારે 4થી 6 ઇંચ જેટલો વરસાદ પડી જતાં સર્વત્ર પાણી ફરી વળ્યાં હતું. ત્યારે આજે પણ વહેલી સવારથી જ સૌરાષ્ટ્રમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. સોમવારે રાજકોટમાં પણ 10 ઇંચ જેટલો વરસાદ પડી જતાં શહેરનું જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું હતું. તો ઉના પણ વહેલી સવારથી જ ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તા ધોવાઈ ગયા હતા અને વીજ પોલ પડી ગયા હતા. હજુ આગામી 48 કલાક ભારે વરસાદની શક્યતા છે.
ઉનામાં ધોધમાર વરસાદથી 15 વીજ પોલ ધરાશાયી
ઉનાના નવાબંદર પર ભારે પવન અને ધોધમાર વરસાદના કારણે 15 જેટલા વીજ પોલ જમીન દોસ્ત થયાં હતાં. નવા બંદરના દરિયા કિનારે વરસાદ સાથે ભારે પવન ફૂંકાયો હતો. જેના કારણે વીજપોલ ધરાશાયી થતાં વીજ પુરવઠો ખોરવાયો હતો.
નદીઓ-જળાશયોમાં પાણીની આવક
એકધારા વરસાદને લીધે દક્ષિણ સૌરાષ્ટ્રની તમામ નદીઓ જીવંત થઇ ઉઠી છે. અને તમામ જળાશયોમાં પાણીની આવક થવા લાગી છે. તેમાં જૂનાગઢનો વિલીંગ્ડન ડેમ, આણંદપુર ડેમ, માણાવદરનો રસાલા ડેમ, બાંટવા ખારો ડેમ, પોરબંદરના સોરઠી, મેઢાક્રીક અને ફોદાળા ડેમ ઓવરફ્લો થયા છે. તો જૂનાગઢના ઓઝત-2 ડેમના 3 દરવાજા ખોલાયા છે. જૂનાગઢ-વેરાવળ હાઇવે પર માણેકવાડાનું માલબાપા મંદિરમાં સાબલી નદીના પાણી ઘૂસ્યા હતા. તો કેશોદના ઘેડ બામણાસામાં ગામમાંથી ખેતરોમાં અવરજવર માટેનો પુલ ધરાશાયી થયો હતો. અમરેલી જિલ્લામાં શેત્રુંજી નદી પણ ગાંડીતૂર બની હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2ZHDReF
via IFTTT
ટિપ્પણીઓ નથી: