કાનપુરના ગેંગસ્ટર વિકાસ દુબેના માથે 50 હજારનું ઈનામ, 500 ફોન સર્વિલન્સ ઉપર

કાનપુર, તા. 4 જુલાઈ 2020, શનિવાર
કાનપુરમાં અથડામણ દરમિયાન આઠ પોલીસ કર્મચારીની હત્યા માટે જવાબદાર કુખ્યાત ગુનેગાર વિકાસ દુબેની જાણકારી આપનારાને 50,000 રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે. કાનપુરના આઈજી મોહિત અગ્રવાલે શુક્રવારે આ ઈનામની જાહેરાત કરી હતી. હાલ વિકાસ દુબેનું પગેરૂં મેળવવા અનેક લોકોની ગહન પુછપરછ ચાલી રહી છે અને મોહિત અગ્રવાલે વિકાસનું ઠેકાણું જણાવનારની વિગતો ગુપ્ત રાખવામાં આવશે તેની ખાતરી આપી છે.
કાનપુરમાં ચૌબેપુર અંતર્ગતના જે થાણા ક્ષેત્રમાં હિસ્ટ્રીશીટર વિકાસ દુબેના માણસોએ આઠ પોલીસ કર્મચારીની હત્યા કરી તે થાણામાં વિકાસ વિરૂદ્ધ 60 જેટલા કેસ નોંધાયેલા છે. કાનપુર ખાતેની આ અથડામણ બાદ વિકાસ દુબે યુપી પોલીસ માટે મોસ્ટ વોન્ટેડ આરોપી બની ગયો છે.
પૂરજોશમાં સર્ચ ઓપરેશન
પોલીસે મોસ્ટ વોન્ટેડ વિકાસ દુબેના ગામના અનેક ડઝન લોકોને કસ્ટડીમાં લીધા છે તથા સમગ્ર ઘટનાક્રમ અને હુમલાના માસ્ટરમાઈન્ડ વિકાસ અંગે પુછપરછની તૈયારી ચાલી રહી છે. આ સાથે જ પોલીસે આશરે 500 જેટલા ફોન નંબર્સ સર્વિલન્સ પર લગાવ્યા છે. સમગ્ર બિકરૂ ગામમાં પોલીસની સજ્જડ તૈનાતી કરવામાં આવી છે તથા ગામ અને તેની આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
ગામના આશરે બે ડઝન જેટલા લોકોને પુછપરછ માટે કસ્ટડીમાં લેવામાં આવ્યા છે અને પોલીસની ફોરેન્સિક ટીમ પણ ઘટના સ્થળે તપાસ કરી રહી છે. ડીજીપીએ પોતે સમગ્ર ગામની મુલાકાત લીધી હતી અને ગામ સાથે જોડાયેલા સીસીટીવીની તપાસ ચાલુ છે.
વિકાસે રાહુલ નામના એક વ્યક્તિ દ્વારા ગુરૂવારે ચૌબેપુર થાણામાં તેના વિરૂદ્ધ એફઆઈઆર નોંધાવવામાં આવી ત્યાર બાદ આ લોહીયાળ કાવતરૂં ઘડ્યું હતું. આ મામલે થાણાના દીવાન યશવીર સિંહે જણાવ્યું કે, વિકાસ સહિત તેના ત્રણેય ભાઈઓની હિસ્ટ્રીશીટ છે. આ સમગ્ર લોહીયાળ ખેલ પાછળ રાહુલની એફઆઈઆર જવાબદાર બની હતી. રાહુલની ફરિયાદના આધારે પોલીસ તપાસ માટે વિકાસના ગામ બિકરૂ પહોંચી હતી.
રાહુલે પોતાના સસરાની જમીન વિકાસે બળજબરીપૂર્વક પોતાના નામે કરાવી છે તેવી ફરિયાદ નોંધાવી હતી. તેણે એફઆઈઆરમાં લખાવ્યું હતું કે, વિકાસ તેને બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડી પોતાના ઘરે લઈ ગયેલો અને ત્યાં માર મારીને એક રૂમમાં પુરી દીધો હતો પરંતુ પોતે તક જોઈને રાતના સમયે ભાગવામાં સફળ રહ્યો છે.
આ ઘટના બાદ રાહુલે ગુરૂવારે વિકાસ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને સમગ્ર કેસની તપાસ માટે પોલીસ ટીમ બિકરૂ પહોંચી હતી. પોલીસને બિકરૂમાં તેમનો વિરોધ થશે તેવી આશંકા હતી માટે જ અનેક થાણાની ફોર્સ લઈને સીઓ દેવેન્દ્ર મિશ્રા પોતે ત્યાં ગયા હતા. ફરિયાદકર્તા રાહુલના ઘરે પણ તેની સુરક્ષા માટે પોલીસ ટીમ મોકલી દેવાઈ હતી પરંતુ તેના ઘરે કોઈ જ હાજર નહોતું.
પોલીસ જ્યારે બિકરૂ પહોંચી ત્યારે જેસીબી મુકીને તેમનો રસ્તો બંધ કરી દેવામાં આવેલો હતો જેથી સીઓ મિશ્રાના નેતૃત્વમાં પોલીસ કર્મચારીઓ ચાલતા આગળ વધ્યા હતા. પરંતુ તે સમયે વિકાસના ગુંડાઓએ ત્રણ દિશામાંથી તેમના પર ફાયરિંગ શરૂ કરી દીધેલું અને યુપી પોલીસના સીઓ સહિત આઠને મોતને ઘાટ ઉતારેલા.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2BEXJqK
via IFTTT
ટિપ્પણીઓ નથી: