કોરોના પોઝિટિવ અમિતાભ બચ્ચનની સ્થિતિ સ્થિર, આઈસોલેશન વોર્ડમાં સારવાર ચાલુ


મુંબઈ, તા. 12 જુલાઈ 2020, રવિવાર

કોરોના વાયરસની લપેટમાં આવેલા સદીના મહાનાયક અમિતાભ બચ્ચનની સ્થિતિ હાલ સ્થિર છે. મુંબઈની નાણાવટી હોસ્પિટલે એક નિવેદન બહાર પાડ્યું છે જેમાં મહાનાયકને કોરોના વાયરસના હળવા લક્ષણો હોવાથી હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા હોવાની વાત કહેવામાં આવી છે. ડોક્ટર્સની એક ટીમ હાલ સતત તેમનું મોનિટરીંગ કરી રહી છે. 

અમિતાભ બચ્ચને હોસ્પિટલ પ્રશાસનને પોતે ટ્વિટરના માધ્યમથી સતત પોતાના સ્વાસ્થ્યની જાણકારી આપતા રહેશે તેમ જણાવ્યું હતું. આ તરફ મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ અમિતાભ બચ્ચન અને તેમના દીકરા અભિષેક બચ્ચન બંનેને કોરોનાના હળવા લક્ષણો હોવાનું જણાવ્યું. રેપિડ એન્ટીજન ટેસ્ટમાં તેઓ બંને કોવિડ પોઝિટિવ મળી આવ્યા હતા અને ત્યાર બાદ તેમને નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રાજેશ ટોપેના કહેવા પ્રમાણે હાલ ચિંતાનું કોઈ કારણ નથી અને બંને અભિનેતાની સ્થિતિ સ્થિર છે. 

બિગ બીએ 11મી જુલાઈ એટલે કે શનિવારે મોડી રાતે ટ્વિટરના માધ્યમથી પોતે કોરોના સંક્રમિત હોવાની જાણકારી આપી હતી. તેમણે લખ્યું હતું કે, 'હું કોરોના પોઝિટિવ આવ્યો છું જેથી હોસ્પિટલમાં દાખલ થયો છું. હોસ્પિટલે સત્તાધીશોને આ અંગે જાણ કરી દીધી છે. મારા પરિવારના લોકો અને સ્ટાફનો કોરોના ટેસ્ટ પણ કરાવાયો છે જેના પરિણામની રાહ જોવાઈ રહી છે.'

77 વર્ષીય અભિનેતા અમિતાભ બચ્ચને છેલ્લા 10 દિવસમાં તેમના નજીકના સંપર્કમાં આવ્યા હોય તેવા તમામ લોકોને ટેસ્ટ કરાવી લેવા વિનંતી કરી છે. તેના થોડા સમય બાદ તેમના દીકરા અને અભિનેતા અભિષેક બચ્ચને ટ્વિટરના માધ્યમથી પોતે કોરોના સંક્રમિત હોવાની માહિતી આપી હતી. તેમણે ટ્વિટમાં લખ્યું હતું કે, 'આજે હું અને મારા પિતા કોરોના પોઝિટિવ નોંધાયા. અમે કોરોનાના ખૂબ જ હળવા લક્ષણો ધરાવતા હતા અને હાલ અમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.'

ઉલ્લેખનીય છે કે મુંબઈમાં અમિતાભ બચ્ચનનું ઘર જે વિસ્તારમાં આવેલું છે તે મુંબઈમાં કોરોનાના સૌથી પ્રભાવિત વિસ્તારોમાં ગણાય છે. આ વિસ્તારના 5,300 લોકો કોરોના વાયરસની લપેટમાં આવી ચુક્યા છે. તે પૈકીના 3,614 લોકો સ્વસ્થ થયા છે જ્યારે હાલ ત્યાંના કોરોના એક્ટિવ કેસની સંખ્યા 1,145 છે. 



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Zhu3ZY
via IFTTT

ટિપ્પણીઓ નથી: