બોલિવુડના લોકપ્રિય કોરિયોગ્રાફર સરોજ ખાનનું કાર્ડિયાક અરેસ્ટના કારણે અવસાન


નવી દિલ્હી, તા. 3 જુલાઈ 2020, શુક્રવાર

ફિલ્મ જગતના પ્રખ્યાત કોરિયોગ્રાફર સરોજ ખાનનું કાર્ડિયાક અરેસ્ટના કારણે મુંબઈ ખાતે અવસાન થયું છે. તેઓ છેલ્લા કેટલાક દિવસોથી અસ્વસ્થ રહેતા હતા અને તેમને બાંદ્રા ખાતેની એક હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલા હતા. મોડી રાતે અચાનક જ તેમની તબિયત વધુ બગડી હતી અને શુક્રવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ 71 વર્ષના હતા અને તેમનો કોવિડ-19 ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. 

કોરિયોગ્રાફર સરોજ ખાનનું અવસાન

સરોજ ખાનને ગત 20 જૂનના રોજ શ્વાસ લેવામાં મુશ્કેલી અનુભવાઈ રહી હોવાથી ગુરૂ નાનક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં દાખલ કરતા પહેલા તેમનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો જે નેગેટિવ આવ્યો હતો. સરોજ ખાનના પરિવાર સાથે સંકળાયેલા એક સૂત્ર દ્વારા મળતી માહિતી પ્રમાણે તેમના સ્વાસ્થ્યમાં ધીરે-ધીરે સુધારો જણાઈ રહ્યો હતો અને તેમને ડિસ્ચાર્જ કરવાના હતા પરંતુ અચાનક જ મોડી રાતે તેમની તબિયત વધુ ખરાબ થઈ ગઈ અને તેમને બચાવી ન શકાયા. આજે મુંબઈમાં મલાડ ખાતેના માલવાણીમાં તેમની અંતિમ વિધિ કરવામાં આવશે.

ફિલ્મી કરિયર

આશરે ચાર દશકાથી પણ વધુ લાંબી કરિયરમાં સરોજ ખાને 2,000 કરતા પણ વધારે ગીતો કોરિયોગ્રાફ કરવાનો શ્રેય મેળવેલો છે. કોરિયોગ્રાફીની તેમની કલાને પગલે તેમને ત્રણ વખત નેશનલ એવોર્ડ મળી ચુક્યો છે. સંજય લીલા ભંસાલીની ફિલ્મ 'દેવદાસ' માટે ડોલા-રે-ડોલા ગીતની કોરિયોગ્રાફીને લઈ તેમને નેશનલ એવોર્ડ મળ્યો હતો. 

માધુરી દીક્ષિતની ફિલ્મ 'તેજાબ'નું યાદગાર ગીત એક-દો-તીન અને 2007ના વર્ષમાં આવેલી ફિલ્મ 'જબ વી મેટ'ના યે ઈશ્ક... ગીત માટે પણ તેમને નેશનલ એવોર્ડ મળ્યા હતા. છેલ્લે તેમણે કરણ જોહરના પ્રોડક્શન હાઉસમાં બનેલી ફિલ્મ 'કલંક' માટે તબાહ હો ગએ.. ગીત કોરિયોગ્રાફ કર્યું હતું. 2019માં રીલિઝ થયેલી આ ફિલ્મમાં માધુરી દીક્ષિત પણ જોવા મળી હતી.

'કાટે નહીં કટતે યે દિન યે રાત', 'એક દો તીન', 'ધક ધક કરને લગા' આ ગીતોની નાયિકાઓ એવી શ્રીદેવી અને માધુરીના લટકા-ઝટકા યાદ હશે, પણ વાસ્તવમાં તેના પાછળ સરોજ ખાનનો થનગનાટ હતો.

બોલિવુડમાં વધુ એક ખાલીપો સર્જાયો

સરોજ ખાને બોલિવૂડમાં એકથી એક ચડિયાતા ગીતો આપ્યા છે. તેમના હાથ નીચે તૈયાર થયેલા અનેક કલાકારો આજે બોલિવુડ કરિયરમાં ટોચ પર છે. ત્રણ વખત રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા સરોજ ખાને ફક્ત ત્રણ વર્ષની ઉંમરે બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકેની કારકિર્દીથી શરૂઆત કરી હતી. તેમણે વર્ષ 1983માં 'હીરો' ફિલ્મમાં કોરિયાગ્રાફી કરી હતી. સરોજ ખાન તેમના કામથી થોડા દિવસો દૂર રહ્યા બાદ 2019માં પરત ફર્યા હતા અને મલ્ટિસ્ટારર ફિલ્મ 'કલંક' અને કંગના રનૌતની ફિલ્મ 'મણિકર્ણિકા: ધ ક્વીન ઓફ ઝાંસી' માં એક-એક ગીત કોરિયોગ્રાફ કર્યું હતું.

સરોજ ખાને મિસ્ટર ઈન્ડિયા, ચાંદની, સોન, તેઝાબ, નગીના, ડર, બાઝીગર, અંજામ, મોહરા, યારાના, દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે, પરદેશ, દેવદાસ, લગાન, સોલ્જર, તાલ, ફીઝા, સાથિયા, સ્વદેશ, વીર ઝારા, ડોન, ફના, ગુરુ, નમસ્તે લંડન, જબ વી મેટ, એજન્ટ વિનોદ, રાઉડી રાઠોડ, એબીસીડી, તનુ વેડ્સ મનુ રીટર્ન્સ, મણિકર્ણિકા સુધીના ગીતોની કોરિયોગ્રાફી કરી છે. 

અંગત જીવન

સરોજ ખાનનો જન્મ 22 નવેમ્બર, 1950ના રોજ કિશનચંદસિંહ સંધુ અને નોની સંધુસિંહના ઘરે થયો હતો. તેમનું સાચું નામ નિર્મલા સંધુસિંહ છે. પરિવારની આર્થિક મુશ્કેલીઓ વચ્ચે સરોજ ખાનને અંગત જિંદગીમાં પણ અનેક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.

13 વર્ષની ઉંમરે કર્યા હતા 30 વર્ષ મોટા અને 4 સંતાનોના પિતા સાથે લગ્ન

સરોજ 13 વર્ષની ઉંમરે 43 વર્ષીય પરીણિત અને ચાર સંતાનોના પિતા એવા બી.સોહનલાલના પ્રેમમાં પડ્યા. તે સમયે તેમને લગ્ન શું તેની પણ ખબર નહોતી અને તેઓ સોહનલાલ પરીણિત હતા તે વાતથી પણ અજાણ હતાં. ત્યાર બાદ 14 વર્ષની ઉંમરે રાજુ ખાન (કોરિયોગ્રાફર)ને જન્મ આપ્યો. ત્યાર બાદ 1965માં એક બીજી પુત્રી હિનાને જન્મ આપ્યો. ત્યાર બાદ સરોજ પતિ સોહનલાલથી અલગ થઈ ગયા. જો કે સોહનલાલની તબિયત લથડતા તે ફરીવાર તેમની સાથે ચાલ્યા ગયા પણ બાદમાં સોહનલાલ મદ્રાસ(હાલ ચેન્નઈ) જતા રહ્યાં હતા.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38o57CU
via IFTTT

ટિપ્પણીઓ નથી: