હે રાજન! સુરતમાં માણસો પણ રહે છે અને આ દિવસોમાં ભયભીત છે, મરી રહ્યા છે...પણ તમે શું કરી રહ્યા છો?
નિ: સહાય, મજબૂર પ્રજા અને નિશ્ચિંત રાજા. સુરતની આ હાલત છે. જોવા, જાણવાવાળા કદાચ ભૂલી ગયા છે કે સુરતમાં માત્ર નોટ અને વોટ જ નહીં માણસો પણ રહે છે. જુલાઇ મહિનાના માત્ર 16 દિવસમાં 200થી વધારે મોત થઈ ચૂક્યાં છે. 4 હજાર કેસ નોંધાઈ ચૂક્યાં છે. પણ સત્તાનું સુકાન સંભાળનારાઓની ઊંઘ જાણે ઊડતી જ નથી.
ગુજરાતની આ આર્થિક રાજધાનીમાં કોરોનાએ ભયાવહ સ્વરૂપ ધારણ કરી લીધું છે. અધિકારીઓ આવે છે, આસપાસ નજર નાખે છે, હા-ના કરીને પાછા ફરી જાય છે. આજે અહીં લાંબી કતારો છે. જીવતા દર્દીઓ ઇન્જેક્શન અને દવાઓ માટે કતારમાં છે તો મૃત્યુ પામેલાઓ સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે. સ્થાનિક વહીવટીતંત્ર સંપૂર્ણપણે પંગુ અવસ્થામાં છે. 10 મરે કે 20, એમને જાણે કશો ફરક પડતો જ નથી. વરાછા, કતાર ગામના મોતની પીડા ગાંધીનગર સુધી પહોંચતી જ નથી, કે પછી પહોંચે તો છે પણ કોઈ જોવાવાળું નથી. સ્થિતિ વિસ્ફોટક છે. ઇન્જેક્શન અને દવાઓ માટે લોકો કરગરી રહ્યાં છે. લોકો એટલા ડરી ગયા છે કે સ્વૈચ્છિક લૉકડાઉન કરી રહ્યાં છે.
શહેરના સિનિયર ડૉક્ટરો ન ઈચ્છતા હોવા છતાં ટેલિફોનિક સારવાર કરી રહ્યા છે. કારણ કે આટલા દર્દીઓ આવ્યા બાદ હવે શું થશે એવી એમને પણ ચિંતા છે. સુરતના સૌથી મોટા વાયરોલોજિસ્ટ પોતે અત્યારે વેન્ટિલેટર પર છે. સિવિલમાં સારવાર કે ઓબ્ઝર્વેશન કરી રહેલા મોટા ડૉક્ટરો સંક્રમિત થઈ રહ્યાં છે કે તેમના પર સંક્રમણનું સંકટ તોળાઈ રહ્યું છે. પણ સુરતની સ્થિતિ બગડી કેમ? એના માટે કોણ જવાબદાર છે? લૉકડાઉન દરમ્યાન સુરતમાં સ્થિતિ નિયંત્રણમાં હતી. 31 મેના રોજ સુરતમાં કુલ 1725 પૉઝિટિવ કેસ હતા અને કુલ 72 મોત હતાં. જ્યારે શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા માત્ર 505 હતી. જેમાંથી માત્ર 351 દર્દીઓ સિવિલ હૉસ્પિટલમાં દાખલ હતા. પણ આજે અનલૉકના 47 દિવસોમાં 344 મોત થઈ ચૂક્યાં છે. પૉઝિટિવ કેસો 1725થી વધીને 9701 થઈ ચૂક્યા છે.
‘સંવેદનશીલ’ સરકાર કમસે કમ દિલ્હીમાંથી તો બોધપાઠ લે, જ્યાં કોરોનાએ જેવી ગતિ પકડી કે તરત ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી કેજરીવાલે મળીને તેના પર નિયંત્રણ મેળવ્યું. આજે ત્યાં કોરોનાનો ફેલાવો ઝડપથી ઘટી રહ્યો છે. રિકવરી વધી ગઈ છે. માત્ર 15 દિવસમાં સ્થિતિ કન્ટ્રોલમાં આવી છે. કેન્દ્ર અને કેજરીવાલ વચ્ચે 36નો આંકડો હોવા છતાં આ શક્ય બન્યું હતું. જ્યારે ત્યાં રાજકારણ કોરાણે રાખીને કોરોનાથી જીતી શકાતું હોય તો સુરતમાં કેમ નહીં? સુરતમાં સ્થિતિ ભયાવહ બનાવવામાં સત્તાધીશોએ કોઈ કસર રાખી નથી. રાજકીય દબાણમાં આવીને ડાયમન્ડ યુનિટ્સ તાબડતોડ શરૂ કરી દેવામાં આવ્યા. જ્યાં સોશિયલ ડિસ્ટન્સિંગનું કોઈ પાલન થયું નહીં. આ જ કારણોસર એક પછી એક દિવસોમાં માત્ર રત્ન કલાકારોમાંથી જ 60-70 કેસ આવવા લાગ્યા. કતારગામમાં 50થી વધારે મોત છે, જ્યાં લૉકડાઉન વખતે ગણ્યાંગાંઠ્યા કેસ હતા.
મહામારીઓને રોકવા વેઇટ એન્ડ વૉચથી કોઈ અર્થ સરતો નથી. સખ્તાઈથી કાર્યવાહી કરવી પડે છે. તમે બધું જ અનલૉક કરી દીધું. સારી વાત છે. પણ જે નિયમો સાથે અનલૉક કરાયું એ નિયમોનું પાલન તો કરાવવું હતું. મૉલમાં લોકો માસ્ક વગર ફરી રહ્યાં હતા. સોશિયલ ડિસ્ટન્સિંગ જેવું કશું રહ્યું જ નહીં. માત્ર દંડ વસૂલીને તમે પોતાની જવાબદારીઓથી હાથ ખંખેરી શકો નહીં. સરકારી એજન્સીઓ માત્ર માસ્કના નામે 2.91 કરોડ રૂપિયાનો દંડ વસૂલી ચૂકી છે. શું તેનાથી કોરોના થંભી જશે? આટલું ઓછું હોય એમ રાજ્યનાં આરોગ્ય સચિવે ખાનગી હૉસ્પિટલો પર આક્ષેપ કર્યો કે તેમણે ઇન્જેક્શનનો અયોગ્ય ઉપયોગ કર્યો છે. હવે આ જ ઇન્જેક્શનને લઈને સુરતના ડૉક્ટર્સ સરકારને ઘેરી રહ્યા છે. માત્ર એક જ નહીં તમામ પ્રકારની દવાઓની તંગી વરતાઈ રહી છે. ડૉક્ટરોના એક એસોસિએશને ત્યાં સુધી લખ્યું છે કે અમે 35 વખત મીટિંગો કરી ચૂક્યા છીએ. હવે વાતો નહીં ગ્રાઉન્ડ પર એક્ઝીક્યુશન કરવું પડશે.
હે સરકાર! હવે તો પગલાં ભરો. સુરતને ભયના ઓથારમાંથી બહાર કાઢો. જે રીતે અમદાવાદને બહાર લાવ્યા. અમદાવાદમાં પણ કેસ આવી રહ્યાં છે પણ અગાઉની તુલનામાં સ્થિતિ બહેતર છે. અગાઉ સિવિલમાંથી 25-30 લાશો બહાર આવી રહી હતી પણ હવે મોત પર નિયંત્રણ મેળવી શકાયું છે. આ જ તમારે સુરતમાં કરવું પડશે. દહેશતમાંથી લોકોનો છુટકારો કરવો પડશે. કોવિડ સેન્ટર્સ ઊભા કરો. ટેસ્ટિંગ વધારો. હૉસ્પિટલોમાં સારવારની વ્યવસ્થા કરો. દવાઓ-ઇન્જેક્શનોનો પૂરતો સ્ટોક કરો. જેમ ચૂંટણી વખતે કરવામાં આવે છે એ રીતે સરકારી મશીનરીને એક્ટિવ કરો. ત્યારે જ સુરતવાસીઓના મનમાં વિશ્વાસ પાછો ફરશે. મોતનો ભય ઓછો થશે. આશાનું કિરણ જાગશે. અને તમારે આ કરવું જ પડશે. કારણ કે આમ કરવું એ તમારી ફરજ નહીં જવાબદારી પણ છે. આ તમારું કર્મ અને તમારી ફરજ છે. બેદરકાર, નકામા અધિકારીઓના ભરોસે રહેવાનું છોડો. જાતે પોતાના હાથમાં સુકાન સંભાળો. સુરતને બચાવી લો.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3fGyJhR
via IFTTT
ટિપ્પણીઓ નથી: