દિગ્ગજ ગુજરાતી ફિલ્મ અભિનેતા નરેશ કનોડિયાનું નિધન, કોરોનાથી હતા સંક્રમિત


અમદાવાદ, તા. 27 ઓક્ટોબર 2020 મંગળવાર

ગુજરાતી ફિલ્મ ઉદ્યોગનો જાણીતો ચહેરો એટલે કે નરેશ કનોડિયાએ 77 વર્ષની ઉંમરે આજે દુનિયાને અલવિદા કહી દીધું છે. થોડા દિવસ પહેલા જ તેઓ કોરોનાથી સંક્રમિત થયા હતાં જે બાદ તેમને અમદાવાદની યુએન હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં જ્યાં તેમને અંતિમ શ્વાસ લીધા છે.

જો કે સારવાર દરમિયાન તેમની તબિયત લથડી હતી અને તેમના દિકરા તથા ગુજરાતી ફિલ્મ અભિનેતા હિતુ કનોડિયાએ પણ તેમના ચાહકોને તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવાની અપીલ કરી હતી. પહેલા મોટાભાઈ મહેશ કનોડિયા અને આજે નરેશ કનોડિયાનું કોરોનાની સારવાર દરમ્યાન હોસ્પિટલમા નિધન થયું છે.

ઉલ્લેખનીય છે કે 20 ઓક્ટોબરે નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને પગલે તેમને સારવાર અર્થે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 

22 ઓક્ટોબરે યુ.એન. મહેતા હોસ્પિટલમાંથી નરેશ કનોડિયાની એક તસવીર સામે આવી હતી, જેમાં તેઓ બેડ પર ઓક્સિજન માસ્ક સાથે સારવાર લેતા જોવા મળ્યા હતા.  

આ પહેલા દેશ અને ગુજરાતમાં કોરોના વાઇરસનો પ્રથમ કેસ સામે આવ્યો ત્યારે નરેશ કનોડિયાએ ઢોલ વગાડીને ‘ભાગ કોરોના ભાગ, ભાગ કોરોના ભાગ…તારો બાપ ભગાડે’ ગીત ગાઇને લોકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કર્યું હતું.

નરેશ કનોડિયાનો જન્મ 20 ઓગસ્ટ 1943ના રોજ મોઢેરાથી નજીક આવેલા મહેસાણા જિલ્લાના કનોડા ગામમાં થયો છે. નરેશ કનોડિયાએ ફિલ્મ ‘વેલીને આવ્યા ફૂલ’થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. નરેશ કનોડિયાએ અનેક હિટ ગુજરાતી ફિલ્મ આપી છે. નરેશ તથા ગુજરાતી એક્ટ્રેસ સ્નેહલતાની જોડી હતી, જેમણે અનેક હિટ ગુજરાતી ફિલ્મમાં સાથે કામ કર્યું છે. નરેશ કનોડિયાએ રીમા સાથે લગ્ન કર્યાં હતા.

નરેશ કનોડિયાએ અત્યાર સુધીમાં 125થી વધુ ફિલ્મોમાં કામ કર્યુ હતુ. તેમણે હિરણને કાંઠે, મેરુ માલણ, ઢોલામારુ, મોતી વેરાણા ચોકમા, પાલવડે બાંધી પ્રીત, પરદેશી મણિયારો, વણઝારી વાવ, તમે રે ચંપો ને અમે કેળ, જોડે રહેજો રાદ, પારસ પદમણી, કાળજાનો કટકો, બેની હું તો બાર વરસે આવીયો, વટ, વચન ને વેર, લાડી લાખની સાયબો સવા લાખનો જેવી અનેક સફળ ફિલ્મો આપી.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35Gp9ri
via IFTTT

ટિપ્પણીઓ નથી: