કેન્દ્ર સરકારે ભારત બાયોટેક અને સીરમ ઇન્સ્ટીટ્યુટને કોરોનાની રસીના વધુ 6 કરોડ ડૉઝનો ઓર્ડર આપ્યો


- 16 મી જાન્યુઆરીથી રસીકરણ શરૂ થશે

નવી દિલ્હી તા.12 જાન્યુઆરી 2021 મંગળવાર

કેન્દ્ર સરકારે ભારત બાયોટેક અને સીરમ ઇન્સ્ટીટ્યુટને કોરોનાની રસીના વધુ છ કરોડ ડૉઝનો ઓર્ડર આપ્યો હતો. દેશમાં 16મી જાન્યુઆરીથી રસીકરણ શરૂ થવાનું છે. 

પહેલા તબક્કામાં હેલ્થવર્કર્સ અને ફ્રન્ટલાઇન શ્રમિકોને  રસી આપવામાં આવશે. આ કાર્ય પાછળ 1300 કરોડ રૂપિયાનો ખર્ચ આવશે. કેન્દ્ર સરકારે ઓક્સફર્ડ કોવિડ-19 કોવીશીલ્ડના 1.1 કરોડ ડૉઝ જીએસટી સહિત ડૉઝ દીઠ 210 રૂપિયાના હિસાબે સીરમ ઇન્સ્ટીટ્યુટને ડૉઝ તૈયાર રાખવાનું જણાવ્યું હતું. આ તમામ ડૉઝ સરકાર ખરીદશે અને એનો ખર્ચ 1100 કરોડ રૂપિયા આવશે.

કેન્દ્રના આદેશ મુજબ કોવીશીલ્ડના પ્રત્યેક ડૉઝની કિંમત 200 રૂપિયા રાખવામાં આવી હતી. દસ રૂપિયા જીએસટી તરીકે ચૂકવવાના રહેશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે મુખ્ય પ્રધાનો સાથેની વિડિયો કોન્ફરન્સમાં આ રસીકરણને વિશ્વના સૌથી મોટા આરોગ્યલક્ષી કાર્યક્રમ સમાન ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે 1.1 ડૉઝનો પહેલો ઓર્ડર 231 કરોડ રૂપિયાનો હશે. પહેલા તબક્કામાં હેલ્થ વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સને રસી આપવામાં આવશે. એનો ખર્ચ સરકાર ઉપાડશે. વડા પ્રધાને એવું સૂચન કર્યું હતું કે પહેલે તબક્કે લોકપ્રતિનિધિઓ કે રાજનેતાઓએ રસી લેવાની નથી. 

વડા પ્રધાને કહ્યું હતું કે છેલ્લા થોડા સમયથી પચાસ દેશોમાં રસીકરણનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો છતાં હજુ સુધી માત્ર અઢી કરોડ લોકોને રસી અપાઇ હતી. આપણો ટાર્ગેટ આગામી થોડા મહિનામાં ત્રીસ કરોડ લોકોને રસી આપવાનો છે. આ એક વિરાટ કાર્યક્રમ છે અને વિશ્વમાં સૌથી મોટો કાર્યક્રમ છે.

ગયા વર્ષના ફેબ્રુઆરી માર્ચથી શરૂ થયેલો કોરોનાનો ચેપ દેશમાં અત્યાર સુધીમાં લાખો લોકોને જકડી શક્યો હતો અને હજારો લોકો મરણ પામ્યા હતા. જો કે આમ છતાં અમેરિકા જેવા દેશની તુલનાએ ભારતમાં જાનહાનિ કે ચેપનો ફેલાવો ઓછો થયો હતો. એની પાછળ લૉક઼ડાઉન જેવાં આકરાં પગલાં નિમિત્ત બન્યાં હતાં.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2XuaTyg
via IFTTT

ટિપ્પણીઓ નથી: