યોગી આદિત્યનાથ અને અખિલેશ યાદવના ગઢમાં અસદુદ્દીન ઓવૈસીની એન્ટ્રી


- અખિલેશના સંસદીય ક્ષેત્ર આઝમગઢને પસંદ કર્યું

- અત્યાર પહેલાં બિહારમાં એન્ટ્રી મારી હતી

લખનઉ તા.12 જાન્યુઆરી 2021 મંગળવાર

ઓલ ઇન્ડિયા મજલિસે ઇત્તેહાદુલ મુસ્લમીન (AIMIM)ના નેતા અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ બિહાર પછી હવે ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવવાનો નિર્ણય કર્યો હતો. બિહારમાં તેમના પક્ષે માત્ર પાંચ બેઠક જીતી હતી. 

જો કે તેથી ઓવૈસી જરાય નાહિંમત થયા નહોતા. ખાતું ખુલ્યું એ જ તેમનેમ માટે મોટી વાત હતી. બિહાર પછી તેમણે પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી લડવાની ઇચ્છા જાહેર કરી દીધી હતી અને મમતા બેનરજી પર આક્ષેપ કર્યો હતો કે તેમણે મુસ્લિમો માટે કશું કર્યું નથી, માત્ર વાતો કરી હતી.

હવે તેમણે દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશ પર નજર દોડાવી હતી. આમ તો ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી આડે હજુ સવા વર્ષ છે. પરંતુ અત્યારથી ત્યાં રાજકીય ખેંચતાણ શરૂ થઇ ગઇ હતી. ઓવૈસી આજે મંગળવારે આઝમગઢ જવાના છે. સુહેલદેવ ભારતીય સમાજવાદી પક્ષના નેતા ઓમ પ્રકાશ રાજભર સાથે ઓવૈસી બેઠક યોજવાના છે. જો કે આજે ઓવૈસી કોઇ સભા કે રેલી યોજવાના નથી. સૌથી રસપ્રદ વાત એ છએ કે આઝમગઢ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને સમાજવાદી પક્ષના નેતા અખિલેશ યાદવનો સંસદીય વિસ્તાર છે. ઓવૈસી અખિલેશના ગઢમાં ગાબડું પાડવાના મનોરથ સેવી રહ્યા હતા.

ઓવૈસીની ચાલ અત્યારથી સ્પષ્ટ થતી હતી. વારાણસીના બાબતપુર એરપોર્ટથી આઝમગઢ જવા માટે તેમણે જૌનપુરના માર્ગને પસંદ કર્યો હતો જે મુસ્લિમ બહુમતી વિસ્તાર છે. બિહાર વિધાનસભાની જેમ ઉત્તર પ્રદેશમાં પણ નાના નાના પક્ષો જાતિવાદી ગણિતની દ્રષ્ટિએ ચૂંટણી લડવાના ઓરતા સેવતા હતા. એટલેજ ઓમપ્રકાશ રાજભરના પક્ષ સાથે નાના નાના પક્ષો જોડાયા બાદ ઓવૈસીએ પણ રાજભર સાથે હાથ મિલાવ્યા હતા.

ઓવૈસી વારાણસીથી જૌનપુર, દીદારગંજ, માહુલ. આઝમગઢ અને ફૂલપુરમાં વિવિધ પક્ષોના કાર્યકરોને મળશે. બપોરની જોહરની નમાજ ઓવૈસી પ્રસિદ્ધ ગુરૈની મદરેસાની મસ્જિદમાં પઢશે અને નમાજ પઢતી વખતે લોકોની જે ભીડ હશે એને સંબોધવાની તક ઓવૈસી જતી નહીં કરે.

AIMIMના ઉત્તર પ્રદેશ એકમના અધ્યક્ષ શૌકત અલીએ કહ્યું કે ઓવૈસી આજે કોઇ સભા રેલી યોજવાના નથી પરંતુ પક્ષના કાર્યકરોને જરૂર મળશે અને ગુરૈની મદરેસા મસ્જિદમાં નમાજ પઢી લીધા બાદ મદરેસા બૈતુલ ઉલુમ સરાયમીરની મુલાકાત પણ લેશે. ત્યાં તેઓ ચાપાણી કરવાના છે. આજની મુલાકાત દ્વારા ઓવૈસી લોકોના મૂડ અને મિજાજને પારખવાના પ્રયાસ કરશે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2K7c1F5
via IFTTT

ટિપ્પણીઓ નથી: