ઓવૈસી ભાજપનું બગલબચ્ચું છે, શિવસેનાએ કર્યો ખુલ્લો આક્ષેપ

- ભાજપ મતો તોડવા માટે એેનો ઉપયોગ કરે છે
મુંબઇ તા.16 જાન્યુઆરી 2021 શનિવાર
શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં એવો આક્ષેપ કર્યો હતો કે ભાજપના જ એક નેતાએ ભાજપની પોલ ખોલી નાખી છે. દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ ચૂક્યું છે.
ભાજપના સાંસદ સાક્ષી મહારાજે બફાટ કરતાં એવું નિવેદન કર્યું હતું કે અસદુદ્દીન ઓવૈસી ભાજપનો પરોક્ષ સાથીદાર છે. બિહારમાં તેજસ્વી યાદવને પછાડવા ભાજપે ઓવૈસીનો ઉપયોગ કર્યો હતો.
એ વાતને પકડી લઇને શિવસેનાએ ભાજપ પર હુમલો કર્યો હતો. શિવસેનાએ લખ્યું કે લોકોને પહેલેથી જ શંકા હતી કે ઓવૈસી AIMIMના નેતા નથી પરંતુ ભાજપનું ઉપવસ્ત્ર છે. ભાજપના એક મહત્ત્વના નેતા સાક્ષી મહારાજે વટાણા વેરી નાખ્યા હતા અને કહ્યું હતું કે હા, ઓવૈસી ભાજપના જ એજન્ટ છે.
શિવસેનાએ લખ્યું કે બિહારમાં ભલે ઓવૈસીએ પાંચ બેઠકો જીતી હોય, વાસ્તવમાં તેમણે તેજસ્વીની 17-18 બેઠકોના મતો વહેંચી નાખ્યા હતા અને એ રીતે રાજદને નુકસાન પહોંચાડીને ભાજપને ફાયદો કરાવ્યો હતો. સામાન્ય સંજોગોમાં મુસ્લિમોના વોટ સેક્યુલર રાજદ અને કોંગ્રેસને જવા જોઇતા હતા પરંતુ ઓવૈસીના કારણે એમ બન્યું નહીં. ઓવૈસીએ ભાજપને લાભ કરાવી આપ્યો.
શિવસેનાએ લખ્યું કે સાક્ષી મહારાજના નિવેદને સાબિત કરી દીધું છે કે ભાજપ ખાનગીમાં ઓવૈસીનો પોતાના લાભ માટે ઉપયોગ કરે છે. ઓવૈસીની જેમ ભાજપની પણ દેશના ખૂણે ખૂણે ખાનગી શાખાઓ છે. ભાજપ અને કોંગ્રેસમાં આ મુદ્દે કોઇ તફાવત નથી.
ભાજપ બેવડાં ધોરણ ધરાવે છે અને ખાનગીમાં ઓવૈસી જેવા કોમવાદી નેતાને પંપાળે છે એમ પણ શિવસેનાએ સામનાના અગ્રલેખમાં લખ્યું હતું. પશ્ચિમ બંગાળમાં અને ઉત્તર પ્રદેશમાં ઓવૈસીએ મારેલી એન્ટ્રી વિશે શિવસેનાએ એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતેા કે ઓવૈસી ભાજપના લાભ માટે કામ કરી રહ્યા છે. લોકદળ, બસપા, સપા અને કોંગ્રેસે ઓવૈસી પર કરેલા આક્ષેપ વાજબી જણાય છે કે ઓવૈસી ભાજપના લાભ માટે આ બધી દોડાદોડ કરી રહ્યા હતા. પશ્ચિમ બંગાળમાં ઓવૈસીએ જે કામ શરૂ કર્યું છે તેથી ભાજપનો ચહેરો ખીલી ઊઠ્યો છે એમ સામનામાં લખ્યું હતું.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38KuMHQ
via IFTTT
ટિપ્પણીઓ નથી: