રાજ્યમાં કોરોનાના કેસ વધ્યા પણ મૃત્યુ ઘટ્યા, જુલાઈના 15 દિવસમાં 12005 કેસની સામે 233 જ મોત
લોકડાઉનના સમયગાળા અને અનલોક-1 દરમિયાન રાજ્યમાં કેસની સાથોસાથ મોતનો આંકડો પણ વધુ હતો. જોકે અનલોક-2માં જુલાઈના 15 દિવસમાં કોરોનાના કેસ વધ્યા છે, પરંતુ રાહતની વાત એ છેકે કોરોનાથી થતાં મૃત્યુની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. 19 માર્ચથી 31 મે સુધી રાજ્યમાં 16794 કેસની સામે 1038 દર્દીના મોત થયા હતા એટલે કે ત્યારે મૃત્યુદર 6.1 ટકા હતો. જૂનમાં 15849 કેસની સામે 810 મોત હતા એટલે કે એ સમયગાળા દરમિયાન રાજ્યનો મૃત્યુદર 5.1 ટકા હતો, જ્યારે જુલાઈમાં 15 દિવસમાં જ 12005 કેસ નોંધાયા છે, પરંતુ તેની સામે 233 દર્દીના મૃત્યુ થયા છે એટલે કે 15 દિવસ દરમિયાન રાજ્યમાં કોરોનાનો મૃત્યુદર 1.9 ટકા રહ્યો છે.
10 જિલ્લામાં એકપણ મૃત્યુ નથી નોંધાયું
જુલાઈના 15 દિવસ દરમિયાન રાજ્યના 10 જિલ્લા એવા છે જ્યાં કોરોનાથી એકપણ દર્દીનું મોત થયું નથી. જેમાંથી ડાંગ, તાપી, નર્મદા જિલ્લો તો એવા છે કે જ્યાં હજી સુધી એકપણ દર્દીએ કોરોનાથી જીવ ગુમાવ્યો નથી. જુલાઈ મહિનાના 15 દિવસમાં સાબરકાંઠા, મહિસાગર, આણંદ, બોટાદ સહિતના 10 જિલ્લાઓમાં એકપણ દર્દી કોરોના સામેની જંગ હાર્યો નથી.

6 જિલ્લામાં 6થી 86 સુધી મોત નોંધાયા
રાજ્યના 6 જિલ્લામાં જુલાઈના 15 દિવસ દરમિયાન 6થી લઇને 86 જેટલા દર્દી મૃત્યુ પામ્યા છે. જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ, ખેડા અને અરવલ્લી જિલ્લો છે. જોકે લોકડાઉનના સમયગાળા અને જૂન મહિનાની સરખાણીએ અમદાવાદ જિલ્લામાં મૃતકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો આવ્યો છે. અમદાવાદમાં લોકડાઉનના સમયગાળા દરમિયાન 842, જૂન મહિનામાં 599 દર્દીના મૃત્યુ થયા હતા. જ્યારે જુલાઈ મહિનામાં 86 દર્દી જ કોરોના સામેની જંગ હાર્યા છે જે એક સારા સમાચાર કહી શકાય છે. બીજી તરફ સુરતમાં કોરોનાના દર્દીના મોતની સંખ્યા વધી રહી છે.

7 જિલ્લામાં 3થી 5 મોત નોંધાયા
રાજ્યના 7 જિલ્લા એવા છે. જ્યાં 3થી લઇને 5 જેટલા દર્દીના મોત થયા છે. જેમાં વડોદરા, જામનગર, બનાસકાંઠા, ગાંધીનગર, પાટણ, મહેસાણા સહિતના 8 જિલ્લા છે. વડોદરા, જામનગર અને બનાસકાંઠા જિલ્લામાં 5-5 તો જૂનાગઢ, પાટણ જિલ્લામાં જુલાઈના 15 દિવસમાં 4-4 દર્દીના મૃત્યુ થયા છે.

10 જિલ્લામાં 1 અથવા 2 મૃત્યુ નોંધાયા
એવી જ રીતે રાજ્યના 10 જિલ્લામાં 1 અથવા તો 2 દર્દીના મોત જુલાઈના 15 દિવસમાં નોંધાયા છે. જેમાંથી દાહોદ જિલ્લો એવો છે જેમાં લોકાડઉનના સમયગાળા અને અનલોક-1 દરમિયાન એકપણ મૃત્યુ નોંધાયું ન હતું. પરંતુ જુલાઈના 15 દિવસમાં આ જિલ્લામાં 2 દર્દીઓના કોરાનાથી મૃત્યુ થયા છે. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા, અમરેલી, વલસાડ, ભરૂચ, કચ્છમાં 2-2 અને ભાવનગર, સુરેન્દ્રનગર, નવસારી અને પંચમહાલમાં 1-1 દર્દીના જુલાઈના 15 દિવસમાં મૃત્યુ થયા છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3h3erz9
via IFTTT
ટિપ્પણીઓ નથી: