રાજકોટમાં 4.8.ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધરા ધ્રૂજી

 

રાજકોટ, તા. 16 જુલાઈ 2020 ગુરૂવાર

રાજકોટમાં આજે વહેલી સવારે 7.40 મિનિટે 4.8.ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા. રાજકોટથી 22 કિલોમીટર દૂર મધ્યકેન્દ્ર બિંદુ નોંધાયુ છે. ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. લોકો ઘરની બહાર દોડી ગયા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટથી 22 કિલોમીટર દક્ષિણ-પશ્ચિમ દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયુ છે. CM વિજય રૂપાણીએ સૌરાષ્ટ્રમાં આવેલા ભૂકંપના આંચકાની નોંધ લીધી છે. જામનગર અને રાજકોટના કલેકટર સાથે વાતચીત કરવામાં આવી.

ઉલ્લેખનીય છે કે એક મહિની અંદર રાજકોટમાં બીજી વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ સાથે સાથે સુરેન્દ્રનગરના સાયલા, ચોટલી, અમરેલી, કાલાવડ, લોધિકા, ગોંડલ, કોટડાસાંગણી વગેરે જગ્યાએ આંચકા અનુભવાયા છે.

જસદણના આટકોટમા ધરતીકંપનો આંચકો અનુભવાયો છે. જસદણમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો શેરીમાંથી અને દુકાનમાંથી બહાર નીકળી ગયા હતા. અવાજ સાથે ધરતીકંપનો આંચકો અનુભવાયો હતો. જેનાથી આજુબાજુ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. જેતપુર તથા વીરપુરમાં પણ ધરતી કંપનો આંચકો અનુભવાયો હતો. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકાથી ભયનો માહોલ વ્યાપી ગયો છે. 

હાલ, કોરોના મહામારી સામે લડ્યા પછી તેની સાથે જીવવાની વાતો થવા લાગી પણ રાજ્યએ ભૂકંપ સાથે જીવતા શિખવાની તો સદીઓથી જરૂર છે. જાપાન આ રીતે જીવે જ છે. એક ઉક્તિ પ્રચલિત છે કે માણસો ભૂકંપથી નથી મરતા પણ ઈમારત પડવાથી તેમાં દબાઈ જવાથી મૃત્યુ પામે છે. 

આમ, ભૂકંપ સામે ટકી શકે તેવા જ બાંધકામો કરવા તે અનિવાર્ય જરૂરિયાત છે. ઉપરાંત ગુજરાતમાં વાવાઝોડાની શક્યતા પણ વધારે રહે છે, કારણ કે તે અરબી સમુદ્રના કાંઠે વસેલું રાજ્ય છે. જે સમુદ્રમાં વર્ષે પાંચ-છ વાવાઝોડા આવતા હોય છે અને ગત વર્ષે તો સુપર સાયક્લોન પણ આવ્યું હતું. આમ, હવે ભૂકંપ અને વાવાઝોડાનું જોખમ ગણીને જ જીવનની ગતિ આગળ વધારવી પડે તેવા કુદરતી સંજોગો છે. 



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3j710jv
via IFTTT

ટિપ્પણીઓ નથી: