આજથી અનલોક 2.0ની શરૂઆત, જાણો ક્યાં છે આકરા નિયમો અને મળશે કેવી છૂટ

નવી દિલ્હી, તા. 1 જુલાઈ 2020, બુધવાર
એક તરફ દેશમાં કોરોના વાયરસના નવા કેસની સંખ્યા સતત વધી રહી છે ત્યારે તેના સાથે જ આજથી અનલોક 2.0ની શરૂઆત થઈ રહી છે. ભારત સરકાર દ્વારા આ માટેના દિશા નિર્દેશો જાહેર કરવામાં આવ્યા છે અને આ ફેઝ પહેલી જુલાઈથી લઈને 31મી જુલાઈ સુધી ચાલશે.
દેશમાં આશરે ચાર મહીના સુધી લોકડાઉન ચાલ્યું અને હવે ફેઝ પ્રમાણે એટલે કે તબક્કાવાર અનલોક કરવામાં આવી રહ્યું છે. અનલોક 1.0માં અનેક ગતિવિધિઓમાં છૂટ મળી હતી અને ત્યાર બાદ અનલોક 2.0માં તેમાં વધારો કરવામાં આવ્યો છે.
અનલોક 2.0ના મોટા અને મહત્વના ફેરફાર
- આજથી ફ્લાઈટ અને ટ્રેનની સંખ્યા વધારવામાં આવશે. અત્યાર સુધી આ સેવાઓ લિમિટેડ નંબરમાં ચાલુ રાખવામાં આવી હતી પરંતુ હવે તેની સંખ્યા બમણી કરવામાં આવે તેવી શક્યતા છે.
- હવેથી રાતના 10 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ રહેશે. પહેલા આ સમય 9થી 5નો હતો.
- દુકાનોમાં પાંચથી વધુ લોકો એકઠાં થઈ શકશે પરંતુ તે માટે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું સંપૂર્ણ પાલન કરવાનું રહેશે.
- 15મી જુલાઈથી કેન્દ્ર અને રાજ્ય સરકારોની ટ્રેઈનિંગ ઈન્સ્ટિટ્યુટમાં કામકાજ શરૂ થઈ શકશે.
આટલી વસ્તુઓ હજુ બંધ રહેશે
- શાળા અને કોલેજીસ 31મી જુલાઈ સુધી બંધ જ રહેશે. રાજ્ય સરકારો સાથે વિમર્શ બાદ આગળનો નિર્ણય લેવામાં આવશે.
- મેટ્રો રેલ
- સિનેમા હોલ્સ
- જિમ
- સ્વિમીંગ પૂલ
- એન્ટરટેઈનમેન્ટ પાર્ક
- થિએટર
- બાર
- ઓડિટોરિયમ
- અસેમ્બલી હોલ
આ સિવાય સરકાર દ્વારા તમામ કન્ટેનમેન્ટ ઝોન માટે સખતાઈ વરતવામાં આવી રહી છે. અહીં ફક્ત જરૂરી ગતિવિધિઓને જ મંજૂરી આપવામાં આવી છે અને તે સિવાય બને તેટલા ઓછા લોકોને બહાર નીકળવા મંજૂરી અપાઈ છે. ઉપરાંત કન્ટેનમેન્ટ ઝોનમાં ટેસ્ટિંગ પણ વધારવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અગાઉ અનલોક 1.0માં ધાર્મિક સ્થળ, મોલ વગેરેને ખોલવાની મંજૂરી અપાઈ હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, અનલોકમાં લોકો લાપરવાહ થઈ ગયા છે પરંતુ આપણે આ લાપરવાહીનો ત્યાગ કરવો પડશે. આવા સંજોગોમાં લોકો સખતાઈપૂર્વક નિયમોનું પાલન કરે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ghZdWT
via IFTTT
ટિપ્પણીઓ નથી: