હવે ગુજરાતમાં જાતિગત પરિબળોને અવગણીને નેતા નક્કી કરવાનો નવો પ્રયોગ, પાટીલની પસંદ પાછળ લાંબી ગણતરી
વર્તમાન અને ભવિષ્યને નજરમાં રાખીને રણનીતિ તૈયાર કરવી એ ભારતીય જનતા પાર્ટીની બદલાયેલી શૈલી છે. સુરતમાં બહુ ઓછાને યાદ હશે કે મોહનનાથ કેદારનાથ દીક્ષિત ભારતીય જનસંઘના પ્રથમ પ્રદેશ પ્રમુખ હતા. મંગળસેન ચોપરા એક અડીખમ સૈનિક હતા. તે પછી કાશીરામ રાણા આવ્યા. તેમને ભાજપે પ્રદેશ પ્રમુખનો તાજ પહેરાવ્યો હતો. 1995માં કાશીરામ મુખ્યમંત્રી બને એવા સંજોગો પેદા થયેલા પરંતુ નસીબ પર પાંદડું ખસ્યું નહીં એટલું જ નહીં પણ સર્વોચ્ચની નજરના ભોગ બન્યા અને પ્રમુખ પદેથી પણ ગયા.
ચંદ્રકાંત પાટીલ અર્થાત્ સી.આર.પાટીલનાં નામે જાણીતા ભાજપ નેતા હવે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ બને છે. ભાજપે જેમ હરિયાણા, મહારાષ્ટ્ર વગેરેમાં મુખ્ય નિર્ણાયક જાતિગત પરિબળની ચિંતા કર્યા સિવાય અન્યને મુખ્યમંત્રી પણ બનાવ્યા હતા, તેની નાનીસરખી આવૃત્તિ સંગઠન સ્તરે ગુજરાતમાં કરવામાં આવી છે. તે કેટલી સફળ થશે? અથવા તો થશે કે કેમ? આ સવાલની સંગતે પાટીલ આવ્યા છે. અત્યાર સુધીમાં એક ભૂદેવ બીજા પટેલ, ક્ષત્રિય, અનાવિલ વગેરે પ્રમુખો થયા છે. તે બધા સરવાળે ગુજરાતી હતા.
કેટલાક નિરીક્ષકોને એવું નોંધવાનું મન થશે કે અરે, ભાજપે તો બિનગુજરાતીને પસંદ કર્યા ! આ વાત સાચી છે પણ અધૂરી છે. સી.આર પાટીલ સવાયા ગુજરાતી છે એ વાત સુરતવાસીઓ બરાબર જાણે છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભાજપનો મજબૂત પાયો નાખવામાં તેમણે મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. આ બધી દૃષ્ટિએ તેમની પસંદગી આશ્ચર્યજનક હશે. પણ આઘાતજનક નથી. તે આગામી પેટા ચૂંટણીમાં ભારે મહત્ત્વનો ભાગ ભજવશે. કોંગ્રેસ પાસે અત્યારે પટેલ વત્તા પટેલ એવું પ્રમુખપદનું સમીકરણ કર્યું તો છે પણ પક્ષને લાગેલો થાક કઈ તરફ લઈ જશે તે પ્રશ્ન ઘણાને થાય છે. આવા સંજોગોમાં ભાજપે નાત, જાત, સંપ્રદાય કે સમુદાયને બાજુ પર રાખીને સર્વસ્પર્શી કસોટીનું આવકારદાયક જોખમ ઉઠાવ્યું છે. તે આવનારા દિવસોમાં સી. આર. પાટીલે અને પક્ષે કેવી રીતે સફળતાપૂર્વક પાર પાડ્યું છે તેનો અંદાજ આવશે. એ તો સ્પષ્ટ છે કે આ પસંદગીમાં ગુજરાત ભાજપ અને વડાપ્રધાન તેમજ અમિત શાહની સહિયારી નીતિ કામ લાગી છે.
ભાજપ સંગઠનમાં ક્યારેક પ્રમુખ તરીકે સૌરાષ્ટ્રનો દબદબો રહેતો, સુરેશ મહેતાને નોંધીએ તો કચ્છનો વારો આવ્યો ગણાય. મધ્ય અને ઉત્તર ગુજરાત બાકાત નથી રહ્યા. ડો. એ. કે. પટેલથી તેની શરૂઆત થઇ ગઇ હતી. આની વચ્ચે પાટીલ પર પસંદગી જેટલા સવાલો પેદા કરે છે, એટલા જવાબ તેમણે આપવા પડશે અને તે પણ જલદીથી કેમ કે ગુજરાતનું રાજકારણ પ્રવાહી છે અને ઝપાટાબંધ પરિવર્તન આંચકા સહન કરતું આવ્યું છે નહીંતર આજથી પાંચ વર્ષ પહેલાં કોઇ કલ્પના કરી શકતું કે આંદોલનકારી હાર્દિક પક્ષનો કાર્યકારી પ્રમુખ બને? અલ્પેશ ઠાકોર હાંસિયામાં ધકેલાઇ જાય અને નરહરિ અમીન રાજ્યસભા માટે આટલાં વર્ષે પસંદગી પામે?
પાટીલ એ રીતે ગુજરાતી રાજકારણમાં ભાજપના જ શાસન દરમિયાન પ્રમુખના રથમાં બેઠા છે. અગાઉ હરિસિંહજી ગોહિલ, દેવદત્ત પટેલ, કેશુભાઇ પટેલ, મકરંદ દેસાઇ, વજુભાઇ વાળા, શંકરસિંહ વાઘેલા, કાશીરામ રાણા, સુરેશ મહેતા, જીતુભાઇ વાઘાણી બીજાં નામો હોઠે ન રહ્યા તે માટે દરગુજર કરશો, પણ દરેકના ભાગે અડધી સફળતા અને અડધી નિષ્ફળતા આવી હતી. પક્ષને ચલાવવો તો સ્વાભાવિક છે, પણ દોડતો કરવો અઘરો છે. પાટીલને માટે તેનું પ્રથમ પગથિયું આગામી પેટાચૂંટણીઓ છે. જો તેમાં સફળ થાય તો સુરતનો યે ડંકો વાગે, અન્યથા મૂલ્યાંકનનાં જંગલમાં સ્થાપિત થાય.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2OFVeY7
via IFTTT
ટિપ્પણીઓ નથી: