ભાજપના સહારે નીતિશ કુમાર બિહાર જાળવી શકશે ખરા ? છેલ્લાં પંદર વર્ષમાં પહેલીવાર અવઢવમાં

- વિપક્ષો ઉપરાંત આમ આદમીનો વિશ્વાસ ગુમાવ્યો છે
પટણા તા.24 ઓક્ટોબર 2020 શનિવાર
બિહાર વિધાનસભાની ચૂંટણીના પગલે શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હાલના મુખ્ય પ્રધાન નીતિશ કુમારની સાથે ત્રણેક ચૂંટણી સભા સંબોધી હતી પરંતુ સવાલ એ છે કે આ વખતે નીતિશ કુમાર ભાજપના સહારે ચૂંટણી જીતી શકશે ખરા ?
ખુદ નીતિશ કુમાર છેલ્લાં પંદર વર્ષમાં આ વખતે પહેલીવાર અસ્વસ્થ જણાયા હતા. તેમને નિકટથી ઓળખતા લોકો કહે છે કે ખુદ નીતિશ કુમાર અવઢવમાં હતા કે ચૂંટણી જીતી શકાશે કે કેમ. એનું મુખ્ય કારણ એ છે કે આ વખતે કોરોના ઉપરાંત ભારે વરસાદના પગલે પૂર આવ્યાં ત્યારે લોકોની અપેક્ષા નીતિશ કુમાર સંતોષી શક્યા નહોતા.
રાજકીય નિરીક્ષકોનો એક વર્ગ માને છે કે ત્રણ ત્રણ મુદતથી સત્તા ભોગવનાર માણસ પછી આત્મવિશ્વાસના અતિરેકનો શિકાર બની જાય છે. એને એમ લાગતું હોય છે કે હવે મારું સ્થાન કોઇ ડગાવી શકે એમ નથી. પરંતુ આ વખતે સંજોગો જુદા હોય એમ જણાય છે. વરસોથી ભાજપ અને જદયુ સાથે રહેલા લોક જનશક્તિના રામ વિલાસ પાસવાનનું મરણ થતાં એમના પુત્ર ચિરાગને સહાનુભૂતિના મતો મળવાની શક્યતા વધી ગઇ હતી. બીજી બાજુ રાજદના લાલુ યાદવનો પુત્ર તેજસ્વી યાદવ પણ નીતિશ કુમારને પડકારી રહ્યો હતો.
ઓપિનિયન પૉલ ભલે ગમે તે વર્તારા કરતા હોય, એક વાત નક્કી છે કે આ વખતે મતદારો જુદો મિજાજ દેખાડે તો નવાઇ નહીં. ભાજપે એટલા માટેજ ચિરાગ પાસવાન સામે કોઇ પગલાં લીધાં નથી. ભાજપને એમ છે કે ન કરે નારાયણ અન નીતિશ કુમાર બહુમતી ન મેળવી શકે તો ચિરાગની સહાયથી બિહારમાં સરકાર રચી શકાય છે. જો કે આવું કરવાનો ભાજપનો પ્રયાસ મહારાષ્ટ્રમાં ફળ્યો નહોતો. શિવસેનાએ કોંગ્રેસ અને એનસીપી સાથે હાથ મિલાવીને સરકાર રચી નાખી હતી. ભાજપ હાથ ઘસતો રહી ગયો હતો.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35ruQJz
via IFTTT
ટિપ્પણીઓ નથી: