કેદારનાથમાં મંદિરના ગર્ભગૃહમાં જવાની મંજૂરી નથી, શ્રાવણના પહેલાં દિવસે 2000થી પણ ઓછા લોકો પહોંચ્યાં, ક્ષેત્રની બધી જ દુકાનો અને હોટલો બંધ
6 જુલાઈથી શ્રાવણ મહિનો શરૂ થઇ ગયો છે. પરંતુ, આ વર્ષે કોરોનાના કારણે ઉત્તરાખંડના કેદારનાથ જ્યોતિર્લિંગમાં શ્રાવણના પહેલાં દિવસે 200થી પણ ઓછાં લોકો પહોંચ્યાં. જ્યારે, ગયા વર્ષે આ આંકડો લગભગ 10 હજાર હતો. ઉત્તરાખંડ સરકારે 1 જુલાઈથી રાજ્યના લોકો માટે અહીંના ચારધામની યાત્રા શરૂ કરી દીધી છે. દર્શન કરવા માટે ચારધામ દેવસ્થાનમ બોર્ડની વેબસાઇટ ઉપર રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે.
કેદારનાથ મંદિરના તીર્થ પુરોહિત સમિતિના અધ્યક્ષ પં. વિનોદ પ્રસાદ શુક્લાએ જણાવ્યું કે, દર વર્ષે શ્રાવણ મહિનામાં અહીં ભક્તોની ભીડ જોવા મળે છે. પરંતુ, આ વર્ષે મંદિરની આસપાસની લગભગ બધી જ દુકાનો અને હોટલો બંધ છે, ગણતરીના લોકો દર્શન કરવા પહોંચી રહ્યા છે, કાવડ યાત્રા પણ બંધ છે. મંદિરમાં અહીંના પૂજારી નિયમિત કરવામાં આવતી બધી જ પૂજા સંપૂર્ણ વિધિ-વિધાન સાથે કરી રહ્યા છે. આ સિવાય પ્રશાસનના થોડાં લોકો જ દિવસભર રહે છે. 2013ના કેદારનાથ દુર્ઘટના બાદ આ વર્ષે મહામારીના કારણે ભક્તો અહીં આવી શકતાં નથી.

મંદિરે આવતાં ભક્તોએ સોશિયલ ડિસ્ટન્સિંગ અને સેનેટાઇઝેશનનું ધ્યાન રાખવાનું હોય છે. મંદિરની બહાર નંદીની પ્રતિમા સ્થિત છે, અહીંથી ભક્ત દર્શન કરી રહ્યા છે. ગર્ભગૃહ સુધી જવાની મંજૂરી નથી. પૂજારી જ ભક્તો તરફથી શિવલિંગ ઉપર જળાભિષેક કરી રહ્યા છે. ભક્તોને અહીં બેસવાની અને પૂજા કરવાની પરમિશન નથી. અહીં મોટાભાગે સ્થાનીય લોકો જ દર્શન માટે પહોંચી રહ્યા છે.
એક દિવસમાં 800 લોકો દર્શન કરી રહ્યા છેઃ-
દેવસ્થાનમ બોર્ડના મીડિયા અધિકારી ડો. હરીશ ગૌડે જણાવ્યું કે, 1 જુલાઈથી દર્શન વ્યવસ્થા શરૂ થઇ છે. 1 થી 6 જુલાઈની વચ્ચે 286 લોકોએ ઓનલાઇન પૂજા બુક કરી છે. 1 જુલાઈથી અત્યાર સુધી કેદારનાથના દર્શન માટે રાજ્યના લગભગ 1200 લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જ્યારે ચારધામના દર્શન માટે 6 દિવસમાં લગભગ 5 હજાર ઈ-પાસ જાહેર કરવામાં આવ્યાં છે. કેદારનાથમાં એક દિવસમાં મોટાભાગે 800 લોકોના દર્શન કરવાની વ્યવસ્થા છે. પરંતુ હાલ ઘણાં ઓછાં લોકો અહીં પહોંચી રહ્યા છે.
સરકારી ગેસ્ટ હાઉસ ખુલી ગયા છેઃ-
અહીં આવતાં શ્રદ્ધાળુઓ માટે સરકારી ગેસ્ટ હાઉસ ખુલી ગયા છે. પરંતુ, લગભગ બધા ભક્ત પોતાના અંગત વાહનથી કેદારનાથ પહોંચી રહ્યા છે અને દર્શન કરીને પોતાના શહેર પાછા ફરી જાય છે. યાત્રીઓને ગેસ્ટ હાઉસમાં એક દિવસ રોકાવાની પરમિશન આપવામાં આવી છે, વિશેષ પરિસ્થિતિઓમાં વધારે દિવસ રોકાઇ શકે છે.
પૌરાણિક મહત્ત્વઃ નર-નારાયણની ભક્તિથી શિવજી પ્રસન્ન થયાઃ-
શિવપુરાણની કોટીરૂદ્ર સંહિતામાં ઉલ્લેખવામાં આવ્યું છે કે, બદરીવનમાં વિષ્ણુના અવતાર નર-નારાયણે પાર્થિવ શિવલિંગ બનાવીને પૂજા કરી હતી. તેમની ભક્તિથી શિવજી પ્રસન્ન થયા અને વરદાન માંગવા માટે કહ્યું. ત્યારે નર-નારાયણે વરદાન માંગ્યું કે, શિવજી હંમેશાં આ ક્ષેત્રમાં રહે. શિવજીએ અહીં રહેવાનું વરદાન આપ્યું અને કહ્યું કે, આ જગ્યા કેદાર ક્ષેત્રના નામથી પ્રસિદ્ધ થશે. ત્યાર બાદ શિવજી જ્યોતિ સ્વરૂપમાં અહીં સ્થિત શિવલિંગમાં સમાઇ ગયાં.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2O3VArg
via IFTTT
ટિપ્પણીઓ નથી: