બિહારમાં આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ત્રણ રેલી, 29 ઓક્ટોબરે પહેલા તબક્કાનું મતદાન થશે

- ચિરાગ પાસવાન વિશે કેવા પ્રતિભાવ આપશે
પટણા તા.23 ઓક્ટોબર 2020 શુક્રવાર
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે બિહારમાં ત્રણ રેલી સંબોધવાના છે ત્યારે મોટા ભાગના પોલિટિકલ નેતાઓ અને નિરીક્ષકોની નજર એ બાબત પર છે કે નીતિશ કુમારને મૂંઝવી રહેલા લોક જનશક્તિ પાર્ટીના ચિરાગ પાસવાન અંગે મોદી શું કહે છે.
બિહારમાં અત્યારે રસાકસી જામી છે. એક તરફ નરેન્દ્ર મોદી અને હાલના મુખ્ય પ્રધાન નીતિશ કુમારનો જદયુ છે. બીજી બાજુ કોંગ્રેસ અને લાલુ પ્રસાદ યાદવના રાજદ પક્ષે હાથ મિલાવ્યા છે. ત્રીજી બાજુ ચિરાગ પાસવાન છે જે પોતે ભાજપનો સમર્થક હોવાનો દાવો કરે છે પરંતુ નીતિશ કુમારને નેતા માનવા તૈયાર નથી. આટલું ઓછું હોય તેમ આ વખતે હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ પણ બિહારની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે.
વડા પ્રધાન સાથે મંચ પર નીતિશ કુમાર પણ હશે. ચિરાગ દૂધ અને દહીં બંનેમાં પગ રાખવા માગે છે. જો કે નિરીક્ષકોનો એક વર્ગ માને છે કે ચિરાગ ભાજપનો હાથવાટકો છે. ચૂંટણી પછી ન કરે નારાયણ અને નીતિશ કુમાર સોદાબાજી કરવાના પ્રયાસ કરે તો એ સમયે ભાજપ ચિરાગ પાસવાનને સાથે લઇને બિહારમાં પોતાની સરકાર રચી શકે એવી આ નિરીક્ષકોની માન્યતા છે. ચિરાગ અત્યારે મોદીના ટેકેદાર તરીકે પરંતુ નીતિશ કુમારના વિરોધી તરીકે મત માગી રહ્યો છે. ભાજપે અને જદયુએ બંનેએ બળવાખોર નેતાઓને દરવાજો દેખાડી દીધો હતો પરંતુ બંને પક્ષને ઘરના ઘાતકીઓની ધાસ્તી રહે છે.
સૌથી મહત્ત્વની વાત એ છે કે તમામ બળવાખોર ઉમેદવારો નરેન્દ્ર મોદીના નામ અને કામ પર મતો માગી રહ્યા હતા. બીજા શબ્દોમાં એમ કહીએ કે મોદીના નામે આ લોકો ચૂંટણી જીતવાના પ્રયાસો કરી રહ્યા હતા. ચિરાગ પાસવાન તો પોતાને મોદીના હનુમાન ગણાવે છે અને મોદીને પોતાના રામ ગણાવે છે. જોવાનું છે કે મતદારો કોને સ્વીકારે છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34nCl50
via IFTTT
ટિપ્પણીઓ નથી: