પાટનગર દિલ્હીની હવા ઝેરી થવાની શક્યતા, રવિવાર સુધીમાં વાતાવરણ વધુ દૂષિત થશે


- ગુરૂવારે જ હવા ખરાબ હોવાનું નિદાન થયું હતું

નવી દિલ્હી તા.10 ઓક્ટોબર 2020 શુક્રવાર

દેશના પાટનગર નવી દિલ્હીમાં રવિવાર સુધીમાં હવા શ્વાસમાં ન લઇ શકાય એટલી હદે પ્રદૂષિત થઇ જશે એવી ચેતવણી સિસ્ટમ ઑફ એર ક્વોલિટી વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ (સફર) દ્વારા આપવામાં આવી હતી. સફરે કહ્યું હતું કે ગુરૂવારેજ હવાની ગુણવત્તા નક્કી થયેલા ધારાધોરણ કરતાં ‘ખરાબ’ હતી. લોકો શ્વાસમાં ઝેરી હવા લઇ રહ્યા હતા.

હજુ તો શિયાળાની શરૂઆત થઇ રહી છે ત્યાં હવા પ્રદૂષિત થતાં કોવિડના દર્દીઓ વધી જવાની પૂરી શક્યતા હતી. જે લોકો કોરોનાગ્રસ્ત થયા હોય તેમની સ્થિતિ વધુ ગંભીર થઇ શકે છે. સુપ્રીમ કોર્ટે જેને ઑથોરિટી આપી છે એવા પર્યાવરણ પ્રદૂષિત નિગમે કહ્યું કે દિલ્હી-એનસીઆરમાં વાયુ પ્રદૂષણને ખાળવા 15મી ઓક્ટોબરથી તબક્કાવાર પગલાં લેવાની યોજના (ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન ) અમલમાં મૂકવો પડશે.

પૃથ્વી વિજ્ઞાન મંત્ર્યાલયના અંકુશ હેઠળની સફર સંસ્થાએ એવો દાવો કર્યો હતો કે પાડોશનાં રાજ્યોમાં બેફામ રીતે પરાળ બાળવામાં આવે છે . અત્રે એ યાદ રહે કે બે દિવસ પહેલાંજ આ સ્થાનેથી જણાવ્યું હતું કે એકલા પંજાબમાં છેલ્લા પંદર દિવસમાં પરાળ બાળવાની 1200 ઘટના નોંધાઇ હતી. એક તરફ શિયાળો શરૂ થઇ રહ્યો હતો અને બીજી બાજુ ખેતરોમાં પાકની લણણીની સીઝન શરૂ થઇ રહી હતી એટલે ખેડૂતો પરાળ બાળી રહ્યા હતા. 

એર ક્વોલિટી ફોરકાસ્ટિંગ સિસ્ટમે કહ્યું કે અત્યારે તો હવાની દિશા અને ગતિ બંને અનુકૂળ જણાય છે પરંતુ ગમે ત્યારે હવાની દિશા બદલાવાની શક્યતા છે એટલે પાડોશનાં રાજ્યો તરફથી આવનારી દૂષિત હવા પાટનગરની હવાને વધુ દૂષિત કરી શકે છે. કુલ 35 પ્રદૂષણ નિરીક્ષણ સ્ટેશનોમાંના 17માં અત્યારેજ હવાની ગૂણવત્તા ખરાબ જોવા મળી હતી. આ અણસાર જોખમી ગણી શકાય. દિલ્હી યુનિવર્સિટી વિસ્તારમાં તો એક્યૂઆઇ 290 નોંધાયો હતો.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3djriwI
via IFTTT

ટિપ્પણીઓ નથી: