વડોદરાના બાવામાનપુરામાં મોડી રાત્રે નિર્માણાધીન ઈમારત ધરાશાયી, 3 ના મોત નીપજ્યા

વડોદરા, તા. 29 સપ્ટેમ્બર 2020, મંગળવાર,

શહેરના બાવામાનપુરા વિસ્તારમાં 3 માળની નિર્માણાધીન ઈમારત ધરાશાયી થતા 3 લોકોના મૃત્યુ થયા છે. મૃતકોમાં એક મહિલા અને 2 પુરૂષો સામેલ છે. મૃતકો મજૂરો હતા. સૂચના મળતા જ પ્રશાસન અને ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.  

મળતી માહિતી મુજબ વડોદરાના બાવામાનપુરા વિસ્તારમાં અચાનક એક નિર્માણાધીન ઈમારત ધસી પડી. જેમાં એક મહિલા અને 2 પુરુષો સહિત 3 લોકોના અત્યાર સુધીમાં મૃત્યુ થયા છે. 18 વર્ષના યુવકને જીવતો બહાર કાઢવામાં આવ્યો. દુર્ઘટના ઘટી ત્યારે આ ઈમારતની છત પર 4 લોકો સૂતા હતા. ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યૂ કામગીરી ચાલુ છે. તમામ કાટમાળ હટાવીને કોઈ વ્યક્તિ દબાયેલો છે કે નહીં તે ખરાઈ કરવામાં આવશે. 



એવી પણ માહિતી મળી છે કે એક વ્યક્તિ હજુ પણ કાટમાળ નીચે દટાયેલો છે. સ્થાનિકોના જણાવ્યાં મુજબ આ ઈમારત પહેલેથી એક બાજુ નમેલી હતી. લોકોએ તેની ફરિયાદ પણ કરી હતી પરંતુ છતાં કોઈ કાર્યવાહી ન કરાઈ તે મોટો પ્રશ્ન છે. સોમવારે મોડી રાતે ઈમારત તૂટી પડવાથી 3 મજૂરોએ પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3jcbY6Z
via IFTTT

ટિપ્પણીઓ નથી: