નવી દિલ્હીમાં ખેડૂતોની જંગી રેલી, ખેતીવાડી અંગેના નવા આદેશોનો વિરોધ

- સંસદ ભવન સામે વિરોધના દેખાવો કરવાના છે
નવી દિલ્હી તા.16 સપ્ટેંબર 2020 બુધવાર
દેશભરના ખેડૂતો અને ખાસ તો હરિયાણા અને પંજાબના ખેડૂતો દેશના પાટનગર નવી દિલ્હીમાં હજારોની સંખ્યામાં ઊતરી પડ્યા હતા. તાજેતરમાં કેન્દ્ર સરકારે બહાર પાડેલા ત્રણ આદેશના વિરોધમાં આ ખેડૂતોએ સંસદ ભવન સામે દેખાવો કરવાની જાહેરાત કરી હતી.
ભારતીય કિસાન યુનિયનના નેતા ગુરનામ સિંઘના કહેવા મુજબ માત્ર હરિયાણા અને પંજાબ જ નહીં, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના કેડૂતો પણ આ ત્રણ ખરડાનો વિરોધ કરવા એકત્રિત થયા હતા. સંસદના ચોમાસું સત્રમાં આ ત્રણે ખરડા મંજૂર કરાવી લેવાની સરકારની ઇચ્છા છે.
અત્યાર અગાઉ આ ખેડૂતો ચંડીગઢમાં હજારોની સંખ્યામાં હાજર રહીને દેખાવો કરી ચૂક્યા હતા. એ સમયે પોલીસની સાથે અથડામણ પણ થઇ હતી. ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારને ભીડાવવા કોંગ્રેસે ખેડૂતોના આંદોલનને ટેકો જાહેર કર્યો હતો. કોંગ્રેસની જેમ ભાજપના સાથીદાર શિરોમણી અકાલી દળે પણ આ આદેશો અંગે નારાજી વ્યક્ત કરી હતી. આ મામલે આજે બુધવારે સંસદમાં મતદાન થાય તો અકાલી દળ આદેશની વિરુદ્ધ મત આપશે.
સરકારનો દાવો એવો હતો કે ખેડૂતોને વચેટિયા દલાલોના હાથમાંથી ઊગારી લેવા અને ખેડૂતોને તેમના પાકની વાજબી રકમ મળી રહે એ માટે આ આદેશ બહાર પાડ્યા હતા.
દિલ્હીની સાથોસાથ પંજાબમાં પણ હજારો ખેડૂતો સડકો પર ઊતર્યા હતા અને તેમના દેખાવો પણ હજુ ચાલુ હતા.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FxVzLI
via IFTTT
ટિપ્પણીઓ નથી: