સોનિયાજીને પત્ર લખવા પાછળ હતું ખાસ કારણ : ગુલામ નબી આઝાદ

- ગાંધી પરિવાર સિવાય કોઇને ખાસ અધિકાર મળ્યા ન હોત
નવી દિલ્હી તા.27 ઑગષ્ટ 2020 ગુરૂવાર
કોંગ્રેસના સિનિયર નેતા ગુલામ નબી આઝાદે કહ્યું હતું કે અમે સોનિયા ગાંધીને પત્ર લખ્યો એની પાછળ ખાસ કારણ હતું. ગાંધી પરિવાર સિવાયની કોઇ વ્યક્તિ વચગાળાની પક્ષ પ્રમુખ બને તો એને તમામ નિર્ણયો લેવાનો વિશેષાધિકાર મળ્યો ન હોત.
અમે ઇચ્છતા હતા કે સોનિયાજી રાજીનામું ન આપે. એટલે અમે પત્ર દ્વારા એવી ઇચ્છા વ્યક્ત કરી હતી કે પક્ષને એક કાયમી પ્રમુખ મળવા ઘટે. 24 ઑગષ્ટની કારોબારીની બેઠકમાં આ પત્રે તડાફડી સર્જી હતી. એવો સવાલ ઊઠાવાયો હતો કે આટલા સિનિયર નેતાઓએ આવો પત્ર લખવાની હિંમત કેમ કરી.
જે 23 નેતાઓએ પત્ર લખ્યો હતો તેમાં મૂળ જમ્મુ કશ્મીરના સિનિયર નેતા ગુલામ નબી આઝાદનો પણ સમાવેશ થયો હતો. એક મુલાકાતમાં તેમણે પોતાના તરફથી એવી સ્પષ્ટતા કરી હતી કે પત્ર શા માટે લખવો પડ્યો. આઝાદે કહ્યું કે ગયા વરસે રાહુલ ગાંદીએ પક્ષના અધ્યક્ષપદેથી રાજીનામું આપી દીધું હતું. સોનિયાજીની તબિયત સારી નહોતી એ હકીકત બધાં જાણતા હતા. એ સંજોગોમાં અમે રાહુલ ગાંધીને મનાવવાના ખૂબ પ્રયાસો કર્યા હતા પરંતુ એ માન્યા નહીં એટલે સોનિયાજી વચગાળાના અધ્યક્ષ બન્યાં અને તેમનો કાર્યકાળ પૂરો થવા આવ્યો ત્યારે અમને થયું કે સોનિયાજી રાજીનામું આપે તો ગાંધી પરિવાર સિવાયના કોઇને અધ્યક્ષ બનાવવા પડે. એવું થતું અટકાવવવાની ભાવનાથી અમે સોનિયાજીને પત્ર લખીને કાયમી પ્રમુખ નીમવાની વિનંતી કરી હતી. પત્રમાં નહેરુ પરિવાર અને ગાંધી પરિવારના પ્રદાનની પ્રશંસા પણ કરાઇ હતી. ધારો કે ગાંધી પરિવાર સિવાયની કોઇ વ્યક્તિ અધ્યક્ષ બને તો પક્ષના કામકાજને પ્રતિકૂળ અસર થાત કારણ કે એ વ્યક્તિ તમામ નિર્ણયો સ્વતંત્રપણે લઇ શકે એવો વિશેષાધિકાર એને આપવામાં ન આવ્યો હોત.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2EIEw8L
via IFTTT
ટિપ્પણીઓ નથી: