દિલ્હીથી બિહાર જતી બસને અકસ્માત નડ્યો, 16 ઇજાગ્રસ્ત

-આગ્રા-લખનઉ એક્સપ્રેસ હાઇવે પર ગબડી
નવી દિલ્હી તા.20 ઑગષ્ટ 2020 ગુરૂવાર
પાટનગર નવી દિલ્હીથી બિહારના મધુબની વિસ્તારમાં જઇ રહેલી એક ઉતારુ બસને બુધવારે રાત્રે આગ્રા-લખનઉ એક્સપ્રેસ હાઇવે પર અકસ્માત નડ્યો હતો. એક અહેવાલ મુજબ બસ ગુલાંટ ખાઇને ઊલટી પડી ગઇ હતી. ઇટાવા જિલ્લો પસાર કર્યા બાદ હાઇવે પર બસ ગબડી પડી હતી.
બસમાં 45 ઉતારુ હતા. એમાંના 16 ઉતારુને ગંભીર ઇજા થઇ હતી. તમામ ઇજાગ્રસ્ત ઉતારુઓને પીજીઆઇ સૈફઇ હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. બસમાં મોટે ભાગે શ્રમિકો હતા. રાત્રે લગભગ સાડા બારની આસપાસ આ અકસ્માત થયો હતો. આ સમાચાર મળતાં ઉસરાહાર પોલીસ સ્ટેશનના અધિકારીઓ થોડા જવાનેાને લઇને ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બસની બારીના કાચ તોડીને મજૂરોને બહાર કાઢ્યા હતા. તમામ ઘાયલોને તરત નજીકની હૉસ્પિટલમાં લઇ જવાયા હતા.
મોટા ભાગના ઇજાગ્રસ્તો ભયમુક્ત હોવાનું હૉસ્પિટલના પ્રવક્તાએ કહ્યું હતું. દરમિયાન, અકસ્માત કેવી રીતે થયો એની તપાસ પોલીસ કરી રહી હતી. ડ્રાઇવર પીધેલો હતો કે પછી એને ઝોકું આવી ગયું હતું એ વિશે પોલીસ પૂછપરછ કરી રહી હતી. વધુ વિગતોની વાટ જોવાતી હતી.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3iZXVRo
via IFTTT
ટિપ્પણીઓ નથી: