જનસંખ્યા નિયંત્રણ કાયદાની માગ બની તીવ્ર, અશ્વિની ઉપાધ્યાયે BJP અધ્યક્ષ નડ્ડાને લખ્યો પત્ર


નવી દિલ્હી, તા. 10 ઓગષ્ટ 2020, સોમવાર

ભાજપના નેતા અશ્વિની ઉપાધ્યાયે જનસંખ્યા નિયંત્રણ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરેલી છે જેની આગામી 14 ઓગષ્ટના રોજ સુનાવણી થવાની છે. આ બધા વચ્ચે તેમણે જનસંખ્યા નિયંત્રણ કાયદાની માંગને લઈ ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાને પત્ર લખ્યો છે. પત્રમાં ઉપાધ્યાયે લખ્યું હતું કે, વર્તમાન સમયમાં જનસંખ્યા વિસ્ફોટ ભારતમાં બોમ્બ વિસ્ફોટ કરતા પણ વધારે ખતરનાક છે અને તેને રોકવો ખૂબ જ જરૂરી છે. સાથે જ તેમણે સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની માંગ પણ કરી હતી. 

ઉપાધ્યાયે પત્રમાં લખ્યું હતું કે, 'આદરણીય જગત પ્રકાશ નડ્ડા જી, હું તમારૂં ધ્યાન દેશની 50% સમસ્યાઓના મૂળ કારણ 'જનસંખ્યા વિસ્ફોટ' તરફ દોરવા માંગુ છું. માનનીય વડાપ્રધાનજી 'જનસંખ્યા વિસ્ફોટ' મામલે પહેલેથી જ પોતાની ચિંતા વ્યક્ત કરી ચુક્યા છે. જનસંખ્યા નિયંત્રણ કાયદાની માંગવાળી મારી અરજી પર સુપ્રીમ કોર્ટે આ વર્ષે 10 જાન્યુઆરીના રોજ ગૃહ મંત્રાલય અને કાયદા મંત્રાલયને નોટિસ પાઠવી હતી તથા 14 ઓગષ્ટના રોજ આગામી સુનાવણી થશે.' 

બીજેપી નેતા ઉપાધ્યાયે કહ્યું કે, "'એક સમાન નાગરિક સંહિતા' અને પ્રભાવી 'જનસંખ્યા નિયંત્રણ કાયદો' લાગુ કર્યા વગર સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત, સાક્ષર ભારત, સંપન્ન ભારત, સમૃદ્ધ ભારત, સબળ ભારત, સશક્ત ભારત, સુરક્ષિત ભારત, સમાવેશી ભારત, સ્વાવલંબી ભારત, સ્વાભિમાની ભારત, સંવેદનશીલ ભારત તથા ભ્રષ્ટાચાર અને અપરાધ મુક્ત ભારતનું નિર્માણ મુશેક્લ જ નહીં અશક્ય છે. 'રામરાજ્ય' પુનઃસ્થાપિત કરવું અને ભારતને વિશ્વગુરૂ બનાવવું અસંભવ છે."

વધુમાં જણાવ્યું કે, "જનસંખ્યા નિયંત્રણ કાયદો તાત્કાલિક પ્રભાવી થવો જોઈએ અને જે વ્યક્તિ તેનું ઉલ્લંઘન કરે તેનું રેશન કાર્ડ, વોટર કાર્ડ, આધાર કાર્ડ, બેંક ખાતું, વીજ કનેક્શન અને મોબાઈલ કનેક્શન બંધ થઈ જવું જોઈએ. કાયદો તોડનારાઓ પર સરકારી નોકરી કરવા, ચૂંટણી લડવા, રાજકીય પાર્ટી બનાવવા અને પાર્ટી પદાધિકારી બનવા પર આજીવન પ્રતિબંધ લાગવો જોઈએ. આવા લોકોને સરકારી શાળા તથા સરકારી હોસ્પિટલ સહિત અન્ય તમામ સરકારી સુવિધાથી વંચિત કરવા જોઈએ અને 10 વર્ષ માટે સજાની જોગવાઈ હોવી જોઈએ."



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2PGj86C
via IFTTT

ટિપ્પણીઓ નથી: