26-11ના ભયાનક આતંકવાદી હુમલાની વરસી, દરિયામાર્ગે પાકિસ્તાનથી મુંબઇમાં થયો હતો હુમલો


- 150થી વધુ દેશીવિદેશી નાગરિકો માર્યા ગયા હતા

મુંબઇ તા.26 નવેંબર 2020  ગુરૂવાર

દેશની આર્થિક રાજધાની સમા મહાનગર મુંબઇમાં 2008માં થયેલા છેલ્લાં વીસ વર્ષના સૌથી મોટા આતંકવાદી હુમલાની આજે વરસી છે. કરાચીથી દરિયા માર્ગે ડઝનબંધ આતંકવાદીઓ 2008ના નવેંબરની 26મીએ મુંબઇ પર ત્રાટક્યા હતા. 

ગેટ વે ઑફ ઇન્ડિયા નજીક તાજમહાલ હૉટલ, નરીમાન પોઇન્ટ પરની ઓબેરોય હૉટલ અને એર ઇન્ડિયા બિલ્ડીંગ, આજે છત્રપતિ શિવાજી ટર્મિનસ તરીકે ઓળખાતા રેલવે સ્ટેશન બોરી બંદર અને અન્ય સ્થળોએ ઓટોમેટિક ગન અને મશીનગનથી સજ્જ  આતંકવાદીઓએ રીતસર લોહી વહેવડાવ્યું હતું.

આ હુમલામાં તાજમહાલ હૉટલમાં ઊતરેલા વિદેશી પર્યટકો પણ માર્યા ગયા હતા. મુંબઇ પોલીસની એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડના ઑફિસર્સ પણ આતંકવાદીઓનો શિકાર બન્યા હતા. સૌથી વધુ ચોંકાવનારી વાત તો એ હતી કે આ હુમલાનું કવરેજ ભારતીય ટીવી ચેનલ્સ પર આવતું હતું એના આધારે પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદીઓના આકાઓ તેમને સતત માર્ગદર્શન કરી રહ્યા હતા.  આખરે ટીવી પરના કવરેજને અટકાવી દેવામાં આવ્યું હતું. 

મુંબઇ પોલીસ, ભારતીય લશ્કરના કમાન્ડો અને સીઆરપીએફના જવાનો એમ ત્રણ ત્રણ સિક્યોરિટી દળોએ આતંકવાદીઓનો સામનો કર્યો હતો. લગભગ 58થી 60 કલાક સુધી ચાલેલા આ દિલધડક આતંકવાદી હુમલામાં 180 જણ માર્યા ગયા હતા અને 300થી વધુ લોકોને ઇજા થઇ હતી. કરોડો રૂપિયાની જાહેર સંપત્તિને નુકસાન થયું હતું. જો કે દસમાંથી એક આતંકવાદી અજમલ કસાબ જીવતો પકડાયો હતો અને એની જુબાનીના આધારે પુરવાર થયું હતું કે આ કાવતરું પાકિસ્તાન સ્થિત અલ કાયદા અને જૈશ એ મુહમ્મદ આતંકવાદી સંસ્થાઓનું હતું.

નવા મિલેનિયમમાં આ સૌથી મોટો આતંકવાદી હુમલો હતો.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HD8tcp
via IFTTT

ટિપ્પણીઓ નથી: