અમદાવાદમાં કોરોનાની સ્ફોટક સ્થિતિ : આજ રાતથી 57 કલાકનો કરફયૂ

વાસ્તવિક સ્થિતિ સરકારી આંકડા કરતાં ઘણી વધુ ગંભીર
સોમવાર સવારે છ વાગ્યા સુધી અમદાવાદમાં માત્ર દૂધ અને દવાની દુકાન જ ચાલુ રાખી શકાશે
મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રીએ સ્થિતિની સમીક્ષા કરી, પરિસ્થિતિ કાબૂ બહાર જતાં નિર્ણય લેવો પડયો
અમદાવાદ, તા. 19 નવેમ્બર, 2020, ગુરૂવાર
અમદાવાદમાં દિવાળીના તહેવારો ઉપર જ કોરોનાની વિસ્ફોટક પરિસ્થિતિ પેદા થઈ છે. દર્દીઓની સંખ્યામાં રોજેરોજ અસામાન્ય વધારો થતો જાય છે. સારી ગણાતી ખાનગી હૉસ્પિટલોના બેડ ફૂલ થઈ ગયા છે.
ત્યારે બીજી તરફ સ્થિતિને પહોંચી વળવા સરકારે ઉચ્ચ સ્તરની બેઠક યોજ્યા બાદ ગુરૂવારે મોડી રાતે અમદાવાદ શહેરમાં શુક્રવાર રાતના નવ કલાકથી સોમવારે સવારના છ કલાક સુધી સળંગ 57 કલાકનો કરફયૂ લાગૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ સમયગાળા દરમિયાન માત્ર દૂધ અને દવાની દુકાનો સિવાય અન્ય કોઈ પણ દુકાન કે ધંધાનુ સ્થળ ખુલ્લુ રાખી શકાશે.બીજી તરફ શહેરમાં સોમવારે રાતના નવથી સવારના છ સુધી અગાઉ કરવામાં આવેલી જાહેરાત મુજબ કરફયૂનો અમલ ચાલુ રાખવામાં આવશે.
અમદાવાદ શહેરમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન કોરોના સંક્રમણને લઈ વકરી રહેલી પરિસ્થિતિન લઈ આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે બેઠક યોજાયા બાદ તેમાં લેવાયેલા મહત્ત્વના નિર્ણયોની જાહેરાત કરતા અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તાએ જણાવ્યું હતું કે, અસારવા સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં કેન્સર અને કિડની હૉસ્પિટલમાં 400 વધુ બેડની સુવિધા કરાશે. સોલા સિવિલમાં 400 વધારાની પથારીની સુવિધા કરાશે.
જ્યારે ગાંધીનગર નજીકના વિસ્તારોના દર્દીઓ માટે ગાંધીનગર સિવિલમાં 100 બેડની વ્યવસ્થા કરવામાં આવેલ છે. આમ, સરકારી હૉસ્પિટલોમાં 900 પથારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં વધુ 400 બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે. જો કે, તેમણે 2237 સરકારી હૉસ્પિટલો અને 400 બેડ ખાનગી હૉસ્પિટલોમાં હાલ ખાલી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
સરકારી તંત્ર તરફથી અમદાવાદ શહેરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલાં દાવા બાદ ગણતરીના સમયમાં જ રાજયના અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તા દ્વારા ટવીટ દ્વારા અમદાવાદ શહેરમાં શુક્રવાર રાતના નવથી સોમવારે સવારે છ કલાક સુધી કડક કરફયૂનો અમલ લાગૂ કરવામાં આવ્યો હોવાની જાહેરાત કરાઈ હતી.
તેમણે ટવીટમાં આ સમય દરમિયાન માત્ર દૂધ અને દવાની દુકાન સિવાય કાંઈ પણ ચાલુ રાખી શકાશે નહીં એમ પણ જણાવ્યુ હતુ.ઉપરાંત સોમવાર રાતના નવથી ફરી સવારના છ સુધી સમગ્ર અમદાવાદ શહેરમાં રાત્રિ કરફયૂનો અમલ જારી રહેશે એમ પણ ઉમેર્યુ હતું.
અગાઉ તંત્ર દ્વારા દર્દીને હૉસ્પિટલ સુધી પહોંચાડવા માટે 108 ઇમરજન્સી હાલ 20 એમ્બ્યુલન્સ છે તેમાં બીજી 20 ગાડીઓનો ઉમેરો કરી દેવાયો છે જેથી લોકોને ઝડપથી 108ની સેવા ઉપલબ્ધ થઈ શકે.
ઉપરાંત હાલના ડૉક્ટરોની સંખ્યા વધારવા માટે 300 ડોક્ટરો અને 300 મેડિકલ સ્ટુડન્ટસ મળીને કુલ 600ને અમદાવાદમાં મુકવામાં આવ્યા છે. ભૂતકાળ કરતા વધુ વ્યાપક અને અસરકારક સેવાઓ સ્થિતિને પહોંચી વળવા માટે આપવામાં આવશે તેમ જણાવ્યું છે. તેમજ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કડકપણે થાય તે માટે આજથી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
કરફ્યૂને પગલે સીએની પરીક્ષાઓ મોકુફ કરવી પડશે
આઈસીએઆઈ દ્વારા 21મીથી દેશભરમા સીએ ઈન્ટરમીડિએટ અને સીએ ફાઈનલની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે ત્યારે અમદાવાદમાં 20મીએ રાત્રે 9 વાગ્યાથી 60 કલાકનો કર્ફ્યુ લાગુ કરાતા સીએની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ મોટી મુશ્કેલીમાં મુકાયા છે. પરીક્ષા પાછી ઠેલવી પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે.
આ અંગે ઈન્સ્ટિટયુટના સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર અનિકેત તલાટીએ જણાવ્યું કે અમે આવતીકાલે કાઉન્સિલ સાથે ચર્ચા કરીશુ અને આવતીકાલે શુક્રવાર સાંજ સુધીમાં નિર્ણય જાહેર કરાશે. મહત્વનું છે કે 21મીએ લેવાનાર ઈન્ટરમીડિએટ-ફાઈનલના બે પેપરની પરીક્ષા મોકુફ કરી પછી ગોઠવવી પડે તેવી સ્થિતિ છે. અમદાવાદમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પરીક્ષાઓ આપવાના છે.
કઈ હૉસ્પિટલમાં કેટલા બેડ વધારાયા ?
કેન્સર અને કીડની
હૉસ્પિટલ 400
સોલા સિવિલ 400
ગાંધીનગર સિવિલ 100
ખાનગી હૉસ્પિટલો 400
કુલ 1300
પ્રજા-સરકારની સંયુક્ત બેદરકારી
કોરોના ફેલાઈ રહ્યો છે, તેમાં સરકાર અને પ્રજા બન્નેે સરખેભાગે જવાબદાર છે. ટ્વિટર પર બેઠા બેઠા આદેશ રજૂ કરતા સચિવોને રસ્તા પર માસ્ક વગર રખડતા લોકો નજરે ચડતાં નથી અને નજરે ચડયા હોય તો વળી દંડ લેવામાં તેમને શરમ આવે છે.
સરકારના મંત્રીઓ અને ભાજપ-કોંગ્રેસના નેતાઓ પણ ટોળા ભેગા કરવાના અપરાધો કરી ચૂક્યા છે. બીજી તરફ સરકાર, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અને આરોગ્ય સાથે સંકળાયેલા અનેક લોકો-સંસ્થાઓની વારંવાર અપીલ છતાં લોકોએ બીનજરૂરી ટોળે વળવાનુ બંધ કર્યું ન હતું.
માસ્ક ન પહેરવામાં અનેક લોકો બહાદુરી સમજતા હતા. અનેક લોકોએ જરૂરી ન હોવા છતાં પ્રસંગો આયોજીત કર્યા અને હજુ પણ કરી રહ્યાં છે. તેનું પરિણામ સૌની સામે છે. સરકાર કડકાઈ દાખવે, પ્રજા સમજદારી દાખવે એ અત્યંત જરૂરી છે. સરકાર માત્ર સામાન્ય માણસોને નહીં પોતાના અધિકારી, મંત્રીઓ અને નેતાઓને પણ નિયમભંગ બદલ દંડ કરીને કાર્યક્ષમ હોવાનો દાખલો બેસાડે એ પણ જરૂરી છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35MAyaA
via IFTTT
ટિપ્પણીઓ નથી: