સવાયા ગુજરાતી 95 વર્ષીય ફાધર વાલેસનો દેહવિલય, ગુજરાતી ભાષાની કરી અજોડ સેવા

- સ્પેનમાં જન્મેલા ફાધરે ગુજરાતને બીજું ઘર ગણાવ્યું હતું
લોગરોનો, સ્પેન તા.9 નવેંબર 2020 સોમવાર
ગુજરાતી પ્રજાના અદકેરા સેવક અને સાહિત્યકાર ફાધર વાલેસનું તેમના વતનમાં 95 વર્ષની વયે નિધન થયું હતું. ફાધર વાલેસના અવસાનથી ગુજરાતે એક પનોતો પુત્ર અને લોકસેવક ગુમાવ્યો હતો.
1925ના નવેંબરની ચોથીએ સ્પેનના લોગરોનો શહેરમાં એક એંજિનિયરને ઘેર થયો હતો. તેમનું મૂળ નામ કાર્લોસ ગોંઝાલેઝ વાલેસ હતું. મિત્રોમાં એસજે અને સાહિત્યમાં ફાધર વાલેસ તરીકે ઓળખાતા કાર્લોસે માત્ર દસ વર્ષની વયે પિતાને એક બીમારીમાં ગુમાવ્યા. એ પછી માત્ર છ મહિનામાં સ્પેનમાં આંતરવિગ્રહ થતાં કાર્લોસ પોતાની માતા આઅને ભાઇની સાથે લોગરાનો છોડીને નીકળી ગયા. પોતાની માતાની કાકીને ત્યાં રહેવા ગયા.
કાર્લોસે પોતાના ભાઇની સાથે એક જેસ્યુઇટ સ્કૂલમાં અભ્યાસ કર્યો. બાળપણથી તેમને ધર્મ અને અધ્યાત્મમાં ઊંડો રસ હતો એટલે પંદર વર્ષની વયે જેસ્યુઇટ નોવેટેટ એટલે કે ધર્મગુરુ ય ધર્મસેવક બની ગયા. 1949માં તેમને એક મિશનરી તરીકે ભારતમાં મોકલવામાં આવ્યા. ભારતમાં આવ્યા પછી તેમણે પોતાનો અધૂરો રહેલો અભ્યાસ ફરી શરૂ કર્યો અને મદ્રાસ યુનિવર્સિટીમાંથી ગણિત વિષય રાખીને ફર્સ્ટ ક્લાસ ઑનર્સ સાથે એમ. એ. થયા. એ પછી તેમણે પોતાની માતૃભાષા સ્પેનિશ ઉપરાંત અંગ્રેજી અને ગુજરાતી ભાષા શીખવાનો આરંભ કર્યો.
ગુજરાતી શીખવા તરફ આકર્ષણ થવાનું કારણ એ હતું કે તેમના મિશનના વડાએ તેમને અમદાવાદમાં નવી શરૂ કરાયેલી સેંટ ઝેવિયર્સ કૉલેજમાં ગણિતના અધ્યાપક તરીકે કામ કરવાની જવાબદારી સોંપી હતી. ગુજરાતમાં અધ્યાપન કરવું હોય તો ગુજરાતી ભાષા આવડવી જોઇએ એમ તેમને લાગ્યું હતું. દરમિયાન, એમનો ધાર્મિક અભ્યાસ પણ ચાલુ હતો. મહારાષ્ટ્રની સાંસ્કૃતિક રાજધાની સમા પૂણેમાં ચાર વર્ષ ધાર્મિક અધ્યયન કરતાં કરતાં તેમણે ગુજરાતી ભાષામાં લખવાનો આરંભ કર્યો. સાવ સાદી સરળ ભાષામાં તેમણે વિચારો વ્યક્ત કરવામાં હથોટી મેળવી. 1960માં અમદાવાદ આવ્યા અને તરત બચુભાઇ રાવતના કુમાર સાપ્તાહિકે તેમને પોતાને ત્યાં લખવાનું આમંત્રણ આપ્યું. એ પહેલાં તેમનું એક પુસ્તક સદાચાર નામે પ્રગટ થઇ ચૂક્યું હતું.
પાંચેક વર્ષ કુમારમાં લખ્યા બાદ તેમણે નવી પેઢી માટે ‘ગુજરાત સમાચાર’માં નવી સમધિ નામે કૉલમ લખવાની શરૂ કરી. આ કૉલમ જબરદસ્ત લોકપ્રિય નીવડી હતી અને યુવા પેઢીને આકર્ષવામાં સફળ નીવડી હતી. આ કટારના લેખો પુસ્તક રૂપે પ્રગટ થતાં ચપોચપ વેચાઇ ગયાં હતાં. ગુજરાત સમાચાર સાથે તેમણે અત્યંત આત્મીય સંબંધો કેળવ્યા હતા. સાથોસાથ તેમણે ગુજરાત યુનિવર્સિટી માટે ગણિતનાં કેટલાંક મહત્ત્વનાં પુસ્તકો વિદેશી ભાષાઓમાંથી ગુજરાતીમાં અનુવાદ કર્યા. આ પુસ્તકો પણ ગણિતના વિદ્યાર્થીઓ માટે વરદાન સમા બની રહ્યા હતા.
ગુજરાતના લોકોની રહેણીકરણી અને સંસ્કૃતિને સમજવા થોડા સમય બાદ તેમણે કૉલેજે આપેલું ક્વોર્ટર ખાલી કરી નાખ્યું હતું અને લોકોની વચ્ચે રહેતા થયા હતા. લગભગ દસ વર્ષ સુધી તેમણે થોડો સમય લોકોની વચ્ચે અને થોડો સમય પોતાના પરિવાર સાથે એમ સમય ગાળ્યો હતો. ઊગતી પેઢી માટે તેમને સતત ચિંતા અને લાગણી રહેતી. તેમનાં લખાણોમાં એક પ્રકારની વિશિષ્ટ આત્મીયતા અને સરળતા રહેવાથી એ ખપ પૂરતું ગુજરાતી જાણતા કોન્વેન્ટિયા વિદ્યાર્થીઓ પણ ફાધર વાલેસને વાંચતા થઇ ગયા હતા.
ગણિત શિક્ષક તરીકેની કારકિર્દી પૂરી કર્યા બાદ ફાધર વાલેસ મેડ્રિડ શહેરમાં વસવા ગયા. જો કે ગુજરાતી ભાષામાં લખવાનું તેમણે સતત ચાલુ રાખ્યું હતું. ભારતમાં અને લેટિન અમેરિકામાં પોતાને થયેલા અનુભવોના સંભારણાં તેમણે અંગ્રેજીમાં લખ્યાં. ત્યારબાદ અંગ્રેજી અને સ્પેનિશ ભાષાનાં પુસ્તકોનો સરળ અનુવાદ કરતા થયા. ગુજરાતી ભાષામાં તેમનાં સત્તરેક પુસ્તકો પ્રગટ થયાં જેમાંનાં કેટલાંક તો બેસ્ટ સેલર બની રહ્યા. તેમનાં કેટલાંક પુસ્તકોનાં મથાળાં આ રહ્યાં- ગાંધી- હિંસાનો વિકલ્પ, ભારતમાં નવ રાત્રિ, એક રાષ્ટ્ર માટે એક શિક્ષક, હિમાલય જેવડી ભૂલ, ઉત્કૃષ્ટતાના પંથે, નેતાઓના નેતા, લગ્નસાગર, કુટુંબ મંગળ, ધર્મમંગળ, ગાંધીજી અને નવી પેઢી, સંસ્કાર તીર્થ, કૉલેજ જીવન, જીવન દર્શન વગેરે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/36h2pi7
via IFTTT
ટિપ્પણીઓ નથી: