ભાજપને છોડી દો, તેજસ્વીને આશીર્વાદ આપો, નીતિશ કુમારને દિગ્વિજય સિંઘે સલાહ આપી


- બિહાર છોડીને તમે રાષ્ટ્રીય રાજકારણમાં આવો

નવી દિલ્હી તા.11 નવેંબર 2020 બુધવાર

કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંઘે બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારને એવી જાહેર અપીલ કરી હતી કે ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને છોડીને તમે તેજસ્વી યાદવને આશીર્વાદ આપો એટલે કે તેજસ્વીને કોંગ્રેસના સહયોગથી બિહારમાં સરકાર રચવાની તક આપો.

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં તેજસ્વી યાદવના પક્ષ રાજદને સૌથી વધુ એટલે કે 75 બેઠકો મળી હતી. કોંગ્રેસને 19 બેઠકો મળી હતી એટલે આ બે પક્ષો અપક્ષો અથવા અસદુદ્દીન ઓવૈસી જેવાના ટેકાથી સરકાર રચી શકે એમ છે. એ હકીત ધ્યાનમાં રાખીને  દિગ્વિજય સિંઘે નીતિશ કુમારને અપીલ કરી હતી કે તમે ભાજપ અને આરએસએસનો સાથ હવે છોડી દો. તમારે માટે બિહાર હવે નાનું પડે છે. તમારે તો રાષ્ટ્રીય રાજકારણમાં ઝુકાવવું જોઇએ.

આ સંદર્ભ પણ સમજવા જેવો છે. અગાઉ નીતિશ કુમાર ભાજપના વરિષ્ઠ નેતા અટલ બિહારી વાજપેયીની કેન્દ્ર સરકારમાં પ્રધાન હતા. પાછળથી એ રાષ્ટ્રીય રાજકારણ છોડીને બિહારમાં પાછા ફર્યા હતા. છેલ્લાં પંદર વર્ષથી એ બિહાર પર રાજ કરે છે. દિગ્વિજયે કહ્યું કે ભાજપ અને આરએસએસ એવી અમરવેલ છે જે બીજા જે વૃક્ષને વળગે એ વૃક્ષને નષ્ટ કરી દે છે. આ બંને જદયુને નષ્ટ કરી દેશે. તમે અમરવેલને વિકસવા ન દો. લાંબે ગાળે તમારા હાથમાંથી બિહાર પણ જશે. એના કરતાં તમે અત્યારથી અમરવેલનાં મૂળને ખતમ કરીને રાજદ કોંગ્રેસની સરકાર રચવાની તક આપો. બિહારની પ્રજા તમને આશીર્વાદ આપશે અને ઇતિહાસમાં તમારા પ્રદાનની નોંધ લેવાશે.




from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3lwGYzG
via IFTTT

ટિપ્પણીઓ નથી: