દિલ્હીમાં સ્મશાનમાં પણ લાંબું વેઇટિંગ લિસ્ટ, કોરોનાએ ખરા અર્થમાં કાળો કેર વર્તાવ્યો


- દિવાળીની ભીડ હવે લોકોને ભારે પડે છે

નવી દિલ્હી તા.20 નવેંબર 2020 શુક્રવાર

દેશના પાટનગર નવી દિલ્હીના એક કરતાં વધુ સ્મશાનોમાં પણ હવે વેઇટિંગ લિસ્ટ જેવી પરિસ્થિતિ સર્જાઇ હતી. કોરોનાએ ખરા અર્થમાં કાળો કેર વર્તાવ્યો હતો. દિવાળીના તહેવારોમાં અગમચેતી નહીં રાખીને દિલ્હીગરા હવે પસ્તાતા હશે. 

દિવસે દિવસે કોરોનાના કેસ વધતા ચાલ્યા હતા, સાથોસાથ મરણનો આંકડો પણ વધતો ચાલ્યો હતો. એક પ્રવક્તાએ કહ્યું હતું કે દરેક મૃતદેહે અંતિમ સંસ્કાર માટે સરેરાશ ત્રણથી ચાર કલાક વાટ જોવી પડી રહી હતી. 

દિલ્હીના મેયર જયપ્રકાશે કહ્યું કે દિલ્હીના નિગમબોધ ઘાટ પર 104 ચિતા-સ્ટેન્ડ છે. એમાંના પચાસ માત્ર કોરોનાથી મરણ પામેલા લોકો માટે રિઝર્વ રાખ્યા છે. છતાં પહોંચી વળાતું નથી. સરેરાશ રોજ બારથી પંદર મૃતદેહો દરેક હૉસ્પિટલમાંથી આવે છે.  તીરથરામ હૉસ્પિટલ, સેંટ સ્ટીફન્સ હૉસ્પિટલ,  સંત પરમાનંદ હૉસ્પિટલ વગેરે સ્થળોએથી શબવાહિની માટે સતત ફોન રણકતા રહ્યા હતા.

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે પરિસ્થિતિને પહોંચી વળવા ગુરૂવારે તમામ રાજકીય પક્ષોની એક બેઠખ બોલાવી હતી જેમાં પરિસ્થિતિને પહોંચી વળવા કેવાં ઇમર્જન્સી પગલાં લેવા એની ચર્ચા થઇ હતી.  કોરોના ઉપરાંત કુદરતી મૃત્યુથી મરણ પામતા લોકોના અંતિમ સંસ્કાર માટે પણ વ્યવસ્થા કરવાની હોય છે. દિલ્હીના તમામ સ્મશાનોમાં આ જ પરિસ્થિતિ હતી. ત્યાં કામ કરનારા માણસોને માથું ઊંચું કરવાનોય સમય મળતો નથી.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35Kgi9q
via IFTTT

ટિપ્પણીઓ નથી: